-
શનિવારે કચીગામના ડુંગરી ફળિયા ખાતે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. લીલાધર મકવાણાએ પોલીસની કામગીરીની આપેલી સમજઃ કોઈપણ ગુનાની નિડરતાપૂર્વક ફરિયાદ કે માહિતી આપવા કરેલો અનુરોધ
-
મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન અંતર્ગતના વિવિધ વિસ્તારોમાં પણ લોકો સાથે સંવાદ કરવાના કાર્યક્રમનું થનારૂં આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્બેરેના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લા એસ.પી. શ્રી અમિત શર્માના માર્ગદર્શન અંતર્ગત કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાના નેતૃત્વમાં ગુનાને થતા રોકવા અને જાહેર સુરક્ષા અને લોકો વચ્ચે ‘પોલીસ મિત્ર’ની ભાવના કેળવવા માટે શનિવારે કચીગામના ડુંગરી ફળિયા ખાતે લોકોની વચ્ચે પહોંચવાના નવતર કાર્યક્રમનો આરંભ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાએ પોતાની ટીમ સાથેકચીગામના ડુંગરી ફળિયા ખાતે પહોંચી લોકોની વચ્ચે કોમ્યુનીટિ પોલીસીંગ, ગુનાને થતા અટકાવવા અને જાહેર સુરક્ષાના સંબંધિત વિવિધ વિષયો ઉપર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે લોકોને વિભાગની પ્રક્રિયા અને પ્રોટોકોલને સમજાવવાની સાથે સાથે સુરક્ષિત અને વધુ સુરક્ષિત વાતાવરણ પેદા કરવા માટે પોલીસની સાથે વિસ્તારના લોકો કેવી રીતે કામ કરી શકે તેના ઉપર પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાએ જણાવ્યું હતું કે, કોઈપણ ફરિયાદ માટે સ્વતંત્ર રૂપે પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકી ઉપર જવું અને કોઈપણ ઘટના ગુનો અથવા સંદિગ્ધ ગતિવિધિઓનો રિપોર્ટ હિંમતપૂર્વક કરવાની જરૂરિયાત છે. કારણ કે, આપણે એવો માહોલ બનાવવો જરૂરી છે કે જ્યાં, સમુદાયના સભ્યો પોતાની ચિંતાઓની સાથે પોલીસ સુધી સરળતાથી પહોંચી શકે. તેમણે જણાવ્યું હતું કે, તમારી ફરિયાદો સાંભળવામાં આવશે અને તેના ઉપર કાર્યવાહી કરાશે. તદ્ઉપરાંત ફરિયાદી સાથે સન્માન અને સૌજન્યની સાથે વ્યવહાર કરાશે.
આ બેઠકમાં કોસ્ટલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્રી લીલાધર મકવાણાએ લોકોને જણાવ્યું હતું કે, એક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવી રાખવા માટે પોલીસ અને સમુદાયની વચ્ચે સંચાર અને સહયોગ મહત્વપૂર્ણ છે.પોતાના વિસ્તારમાં થતી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કે સંદિગ્ધ ગતિવિધિની જાણકારી પહોંચાડવા અને જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રખાતી હોવાનો વિશ્વાસ પણ આમલોકોને આપવામાં આવ્યો હતો. તેમણે ચાલીના લોકોને સુરક્ષા આપવાની સાથે સાથે સ્વચ્છ અને સાફ વાતાવરણ બનાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
કચીગામ આઉટ પોસ્ટના પ્રભારી સુશ્રી ભાવિનીબેન હળપતિએ કટોકટીના સમયમાં લોકોને કોઈપણ ગુનો અથવા માહિતીનો રિપોર્ટ કરવા માટે વિશ્વસનીય અને સુલભ કટોકટી હેલ્પ લાઈન 112નો ઉપયોગ કરવા પણ સલાહ આપી હતી. તેમણે મોબાઈલ કે ઓનલાઈન થતી છેતરપીંડિના વિવિધ પ્રકારો અને ટેક્નીકની બાબતમાં પણ જાણકારી આપી હતી અને પોતાના સગાં-વ્હાલા, દોસ્તો વગેરેને પણ આ બાબતે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન દ્વારા અગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ પોલીસની કામગીરી તથા ખાખી વર્દી પ્રત્યે લોકોમાં રહેલા ડરને દૂર કરવા માટે અને લોકો વચ્ચે પોલીસની એક મિત્ર તરીકેની છાપ ઉભી કરવા પ્રયાસ થનારો હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.