(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્ય નિગમ-બોર્ડ, બેંક, ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્ટ્રાકટર, શૈક્ષણિક સંસ્થા, હોટલ, હોસ્પિટલ અને અન્ય તમામ એકમો જે કાયદા હેઠળ આવતા હોય તેવા કુલ 182 નોકરીદાતાઓને ત્યાં વર્ષ 2022-23ના સમયગાળા દરમ્યાન દફતર ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી કાયદાના ભંગ બદલ કુલ 41 નોકરીદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેઓના જવાબ સંતોષકારક ન મળતા કુલ 5 નોકરીદાતાઓને તાકીદપત્ર આપવામાં આવ્યા છે. કાયદાના ચુસ્ત પાલન માટે અને રોજગારવાંછુઓને રોજગારી મળી રહે માટે રોજગારકચેરી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે એવું રોજગાર અધિકારી (જનરલ) પારૂલ એલ.પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.