(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરુઆત તા.૨૪ એપ્રિલ -૨૦૦૩નાં રોજ થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની "સ્વાગત સપ્તાહ" તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાનાં વિવિધ ગામોમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં વિવિધ ગામોમાંથી કુલ ૬૦૮ જેટલી અરજીઓ મળી છે.
વલસાડ જિલ્લાનાં વિવિધ તાલુકાઓનાં ગામડાઓમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ તાલુકામાંથી ૧૩૨ અરજી, ધરમપુર તાલુકામાંથી ૧૫૬ અરજી, પારડી તાલુકામાંથી ૯૦ અરજી, કપરાડા તાલુકામાંથી ૧૦૮ અરજી, ઉમરગામ તાલુકામાંથી ૭૩ અરજી અને વાપી તાલુકામાંથી ૪૯ અરજી અને રજૂઆત મળી છે. આમ, આ તમામ અરજીઓ ઉપર જરૂરી નિયમોનુસાર કાર્યવાહી કરી તમામ અરજીઓને ૨૪ એપ્રિલ થી ૨૬ એપ્રિલ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લઈ નિકાલ કરવામાં આવશે.
આગામી દિવસોમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાશે. ત્યારે વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં જોડવા માટે ઈન્ચાર્જ કલેક્ટરશ્રી મનિષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓને સુચન કર્યુ છે. ૨૪ થી ૨૬ નાં રોજ દરેક તાલુકામાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તથા ૨૭ એપ્રિલનાં રોજ જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાનાં અલગ અલગ તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ કલેક્ટરશ્રી વલસાડ, પારડી અને ધરમપુર તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહીત વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.