રમત-ગમત સચિવ અંકિતા આનંદે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે શતરંજ ઓલમ્પિયાડને આવકારવા થઈ રહેલી તૈયારીનું કરેલું નિરીક્ષણ અને આપેલું જરૂરી માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28
શતરંજ ઓલમ્પિયાડના ઈતિહાસમાં પહેલી વખત ઓલમ્પિકની તર્જ ઉપર મશાલ રેલીની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 19મી જૂનના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમથી મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જે દેશના અનેક રાજ્યો અને સંઘપ્રદેશોથી પસાર થશે. આ મશાલ પોતાની 75 શહેરોની યાત્રાના પડાવમાં 1લી જુલાઈએ દમણ પહોંચશે. દમણમાં પ્રવેશ કર્યા બાદ આ મશાલ રેલીને દાભેલ ચેકપોસ્ટ, સોમનાથ, ડેલટીન હોટલ, ફૂટબોલ ગ્રાઉન્ડ મોટી દમણ, રાજીવ ગાંધી પૂલ, મશાલચોક વગેરે વિવિધ માર્ગથી પસાર થઈ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે પ્રવેશશે.
1લી જુલાઈએ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે મશાલ રેલીના સ્વાગત માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ભવ્ય આયોજનની તૈયારી માટે સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધવિભાગો પોતાની તૈયારીમાં સક્રિય રીતે જોતરાઈ ચુક્યા છે.
આજે કાર્યક્રમની પૂર્વ તૈયારીના નિરીક્ષણ માટે સંઘપ્રદેશના રમત અને યુવા વિભાગના સચિવ તથા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રીમતી અંકિતા આનંદે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને તૈયારીઓના સંદર્ભમાં જરૂરી સલાહ-સૂચન અને નિર્દેશો આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં શતરંજના ગ્રાન્ડ માસ્ટરને શતરંજ ઓલમ્પિયાડ મશાલ આગળની યાત્રામાં સુપ્રત કરવામાં આવશે. ભારતમાં આયોજીત થનારા 44મા શતરંજ ઓલમ્પિયાડ તામિલનાડુના ચેન્નાઈમાં 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી યોજાશે.