સામાન્ય સભામાં નવા મેનેજીંગ ડિરેક્ટરની ભરતી કરવા અને નેટ એન.પી.એ. ઝીરો ટકા કરવા આપવામાં આવેલી મંજૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દમણ અને દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આજે બેંકના વહીવટદાર શ્રી કરણજીત વાડોદરિયાના અધ્યક્ષસ્થાને મળેલી 7મી વાર્ષિક સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
સંઘપ્રદેશ પ્રશાસને બેંકના વહીવટદાર તરીકે શ્રી કરણજીત વાડોદરિયાની કરેલી નિમણૂક બાદ બેંકની થઈ રહેલ ઉત્તરોત્તર પ્રગતિની નોંધ પણ શેરધારકોએ લીધી હતી. વાર્ષિક સામાન્ય સભામાં બેંકની કામગીરી અને સિદ્ધિઓ સહિત વિવિધ પાસાની જાણકારી આપવામાં આવી હતી. નાણાંકિય સ્થિતિના નફા અને નુકસાનનું નિવેદન રોકડ પ્રવાહના વ્યાપક આવકની માહિતી અને તમામ સંબંધિત કાર્યક્રમની નોંધો તથા નાણાંકિય વર્ષ 2021-22 માટે બેંકની ઓડિટેડ બેલેન્સ સીટ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એજન્સી જે.બી. લઢ્ઢા એન્ડ કંપની દ્વારા તૈયારકરેલ ઓડિટેડ હિસાબોને પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
નાણાંકિય વર્ષ 2022-23 માટે વૈધાનિક ઓડિટ કરવા માટે આર.બી.આઈ. અને નાબાર્ડ દ્વારા જે.બી.લઢ્ઢા એન્ડ કંપનીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવેલ હોવાની જાણકારી પણ સભાસદોને આપવામાં આવી હતી.
આજની સામાન્ય સભામાં નવા મેનેજીંગ ડિરેક્ટરની ભરતી કરવા પણ મંજૂરી આપવામાં આવી હતી. તદ્ઉપરાંત એન.પી.એ.ની 100 ટકા જોગવાઈ એટલે કે, નેટ એન.પી.એ. ઝીરો ટકા કરવા પણ ઠરાવવામાં આવ્યું હતું.
આજની વાર્ષિક સામાન્ય સભામાં બેંકના ધારકોએ બેંક અને તેના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બેંકની કામગીરી સુધારવા માટેના મેનેજમેન્ટના પ્રયાસોની શેરધારકોએ સરાહના કરી મહોર પણ મારી હતી.
આજની સમાન્ય સભામાં બેંકના તમામ કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.