અકસ્માતમાં 12 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: લકઝરી બસમાં સવાર 12-જેટલા મુસાફરોને ઈજા થતા સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાત્રે એકાદ વાગ્યાના અરસામાં ધડાકાભેર વાહનો અથડાતા અને મુસાફરોની ચિચિયારીઓથી સ્થાનિકો ધસી આવી કેબિનમાં ફસાયેલાઓને જેસીબીની મદદથી બહાર કાઢયા હતા.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચાર્ટડ કંપની લકઝરી બસ નં.-એએસ-01-પી-6793શીરડી થી શ્રધ્ધાળુંઓને લઈને 29-એપ્રિલના રોજ સાંજે છ એક વાગ્યાના અરસામાં અમદાવાદ પરત જવા નીકળી હતી. આ દરમ્યાન ધરમપુર-ખારેલ માર્ગ ઉપર રાત્રે એકાદ વાગ્યાના અરસામાં કલીયારી ગામની સીમમાં સામેથી આવતો એક આઇસર ટેમ્પો નં.એમએચ-15-જીવી 6279 ના ચાલકે પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારતા લકઝરી બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા સ્થાનિકો મોટી સંખ્યામાં ધસી ગયા હતા. અને બન્ને વાહનોના કેબીનો સહિત આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી જતા તેમાં ફસાયેલા ચાલક સહિતનાને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બસના ચાલક મોહમદ સોહેબ મોહમદ ઈંદ્રિશ કાપડિયા (ઉ.વ-48) (રહે.અફઝલ પાર્ક જહાંગીર બેકરી સામે સૈયદવાડી વટવા અમદાવાદ) ને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બસમાં સવાર 12-જેટલાને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેમ્પો ચાલક અશોક આત્મારામ ખરે (ઉ.વ-25) (રહે.મસરોળ ગામ તા.જી.નાસિક) ને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમ્યાન મંગળવારની બપોરના સમયે તેનું પણ મોત નીપજ્યું હતું.