વાહન વેરો, ગટર વેરો અને પાણી વેરાનો વધારો ન્યાય વિરૂધ્ધ છે. 3 હજાર વાંધા અરજી આવેલ પણ કોઈને પણ સાંભળવામાં આવ્યા નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ વેરામાં અસહ્ય તોતિંગ વધારો કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે સોમવારે માજી વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ વિવિધ માજી નગર સેવકોએ પ્રાંત અધિકારી-વહીવટદારશ્રીને કલેક્ટર કચેરીમાં વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું હતું.
વલસાડ નગરપાલિકા દ્વારા વાહનવેરો, પાણીવેરો અને ગટર વેરામાં તોતિંગ ભાવ વદારો કરાયો છે. કેટલાકમાં વેરાના બે બે પ્રકાર દર્શાવાયા – સફાઈ વેરો અને સેનેટરી વેરો જેવા અસંગત નિર્ણય પાલિકા દ્વારા લેવાયા છે. પાણી વેરો 660 હતો તેની જગ્યાએ 340 નો વધારો કરી 1 હજાર કરી દેવાયો છે. મિલકત વેરો 400 ની જગ્યાએ 500 કરી દેવાયો છે. મિલકત 50 રૂપિયાની હોય તોપણ વેરો 500 વસુલાશે તેવું ગીરીશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતુચં કે ગત 2020 માં વેરા વધારા માટે જાહેર જનતાના સુચન મંગાવેલા જે 3 હજારથી વધુ સુચન લોકોએપાલિકાને આપેલું પરંતુ કોઈને પણ સાંભળ્યા સિવાય એક તરફી નિર્ણય લેવાયો હતો. વિરોધ પક્ષ પૂર્વ નેતા ગીરીશભાઈ દેસાઈની સાથે પૂર્વ સભ્ય ઝાકીર પઠાણ, સંજય ચૌહાણ, મયંક વાડીવાલા, વિજય પટેલ અને ઉર્વશીબેન પટેલ સહિતના આગેવાનો, કલેક્ટર કચેરીમાં પ્રાંત અધિકારી પાલિકા વહિવટદાર આશાબેન સોલંકીની રૂબરૂ મુલાકાત સાથે રજૂઆત કરી વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.