-
પ્રભારી વિનોદ સોનકરને વધાવવા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદ અને જુસ્સાનો માહોલ
-
પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની કરાયેલી નિમણૂકથી સંસદમાં લાલુભાઈ પટેલ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત ત્રણ સાંસદોનું દાદરા નગર હવેલી અનેદમણ-દીવને મળનારૂં પીઠબળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રભારી અને સાંસદ શ્રી વિનોદ સોનકરનું આવતી કાલ તા.13મી ઓક્ટોબરના રોજ સાંજે પ્રદેશમાં આગમન થઈ રહ્યું હોવાની માહિતી મળી છે.
નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રભારી શ્રી વિનોદ સોનકરના દમણ આગમનને વધાવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. તેમનું દાભેલ ચેકપોસ્ટ ખાતે ભવ્ય અને શાનદાર અભિવાદન કરવા માટે પણ તૈયારી થઈ રહી છે.
પ્રદેશ ભાજપના તમામ મોર્ચાઓ અને વિવિધ સમિતિઓ દ્વારા નવનિયુક્ત પ્રભારી શ્રી વિનોદ સોનકરના સ્વાગતને આખરી ઓપ આપી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્ત પ્રભારી શ્રી વિનોદ સોનકર ઉત્તરપ્રદેશના કોસામ્બી લોકસભા વિસ્તારના સાંસદ હોવા ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે શ્રી વિનોદ સોનકરની નિયુક્તિથી સંસદમાં શ્રી લાલુભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી વિનોદ સોનકર મળી કુલ ત્રણ સાંસદો પ્રદેશનું પ્રતિનિધિત્વ પણ કરશે. કારણ કે, દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીના પ્રભારી રહેલા રેલવે મંત્રી શ્રી અશ્વિનીવૈષ્ણવે હજુ પણ પ્રદેશ સાથે નાતો જાળવી રાખ્યો છે અને તેઓ પ્રદેશના હિતમાં અનેક નિર્ણયો પણ લઈ રહ્યા છે.