(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.05
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં ભાજપના જનાધારને વધારવા લોકોને પાર્ટી સાથે જોડવા ઉપર મનન-મંથન કરવામાં આવ્યું હતું. દીવ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવના ગાંધીપરા હોલ ખાતે મળેલી પ્રદેશ કાર્યકારિણીમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકર, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિવેધ દાઢકર, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પ્રદેશ ભાજપના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે ગત 8 વર્ષમાં ભાજપ સરકારની તમામ યોજનાઓ પ્રદેશના છેવાડેના લોકો સુધી પહોંચી હોવાથી આ લાભાર્થીઓને પણ પક્ષની સાથે જોડવા કાર્યકરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દેશમાં ભાજપે વિચારધારા અને સંગઠનના માધ્યમથી સત્તા મેળવી છે. એક સમયે બે સાંસદો હતા આજે 303 સાંસદોસાથે કેન્દ્રમાં બહુમતિ છે. ભાજપ પરિવારવાદ ચલાવનારી પાર્ટી નહીં હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિરીટભાઈ વાજા તેમજ વિવિધ મોર્ચાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા.