કાંજણરણછોડના અમૃતભાઈ છોટુભાઈ પટેલ દ્વારા 80મી વખત રક્તદાન કરી ગામનું વધારેલું ગૌરવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિના દરમ્યાન શિવાલયમાં જઈ ભગવાન શીવની પૂજા અર્ચના આપણે સૌ કરીએ છીએ, તો આ પૂજા અર્ચના સાથે સાથે શ્રાવણ માસનું મહત્વ અનેરું છે.
શ્રાવણ મહિનામાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વરભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે, ભગવાન શિવનો શ્રાવણ મહિનો સૌથી ઉત્તમ કહેવાયો છે. આ મહિનાનો પ્રત્યેક દિવસ ધર્મ, પૂજન, કર્મ, દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે, તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.
ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની પૂનમે ઉજવાતા પવિત્ર રક્ષા બંધનના પાવન પર્વએ અને સ્વઃ નિકુંજભાઈ નરેશભાઈ પટેલના પુણ્ય સ્મારણાર્થે ‘‘રક્તદાન મહાદાન”ને સાર્થકકરવા તપેશ્વર મહાદેવ મંદિર કાંજણહરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શ્રી અમૃતભાઈ છોટુભાઈ પટેલ દ્વારા 80મી વખત રક્તદાન કરી કાંજણરણછોડ ગામનું ગૌરવ વધાર્યું છે.
શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 86 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરી આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે 86 જેટલા રક્ત દાનવીરોએ 56ની છાતીએ રક્તદાન કર્યું હતું. જેઓને શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનવાડા, વલસાડના શ્રી યોગેશ પટેલ (યોગી)એ હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.