વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકામાં ગત સપ્તાહે અતિભારે વરસાદ વચ્ચે કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક ખાડી, કોતરોમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં ખેતીવાડીમાં પણ મોટાપાયે તારાજી સર્જાઈ છે. તાલુકામાં કેરી, ચીકુ જેવા બાગાયત પાકો ઉપરાંત શેરડી, ડાંગર, સુરણ, કેળ, શાકભાજી, કંદ સહિતની ખેતી થાય છે.
તાલુકાના રૂમલા, સોલધરા, પીપલગભણ, મોગરાવાડી સહિતના ગામોમાં કેળની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી લોકમાતા ખરેરાના પૂરના પાણી ખેતરોમાં ઘુસી જતા કેળનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કેળના આખે આખા રોપા પાણીના ધસમસતા પ્રવાહમાં જડમૂળથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. ખરેરા નદી ઉપરાંત રૂમલા વિસ્તારમાં કાંકરી ખાડીમાં પણ ઘોડાપુર આવ્યા હતા. અને જેમાં પણ આસપાસના કેળના ખેતરો વેરણ-છેરણ થઈ જતા ખેડૂતોની આખા વર્ષની મહેનત, ખાતર, રોપા વિગેરે માટે કરેલ ખર્ચ માથે પડવાપામ્યો છે.
ઘણા ખેડૂતો બેંકલોન કે ધિરાણ મેળવીને ખેતીમાં ખર્ચ કરતા હોય છે. ત્યારે આ રીતે પૂરમાં નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. તાલુકાના આ વિસ્તારમાં અંદાજે 100-વીંધાની આસપાસ કેળનો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. જેમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગવા પામ્યો છે. જોકે સરકાર દ્વારા નુકશાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોને કુદરતી આપતિમાં આ પ્રકારે થયેલા નુકશાનમાં યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે.
રૂમલા નિશાળપાડાના ખેડૂત નરેશભાઈના જણાવ્યાનુસાર અમારો પાંચ એકરમાં કેળનો પાક તૈયાર હતો. અને કાપવાની તૈયારી કરતા હતાને કાંકરી ખાડીમાં પૂર આવતા તમામ પાક જમીનદોસ્ત થયો છે. અને અમને મોટું નુકશાન થયું છે. અમારા વિસ્તારમાં 100-વીંધાની આસપાસ કેળના પાકને નુકશાન થયું છે. નુકશાની માટે તંત્ર દ્વારા ડ્રોન દ્વારા અને ખેતરમાં આવી બે વાર સર્વે કરાયું છે. ત્યારે પૂરતી સહાય આપવામાં આવે તે જરૂરી છે.
ચીખલીના મદદનીશ ખેતીવાડી અધિકારી નિલેશભાઈના જણાવ્યાનુસાર ચીખલી તાલુકામાં ગત સપ્તાહમાં કાવેરી, ખરેરા સહિતની નદીમાં પુર આવતા ખેતીપાકોને નુકશાન થયેલ છે. કેળની તો પૂરેપૂરી વાડી સાફ થઈ ગઈ છે.સર્વેની કામગીરી હાલે પ્રગતિમાં છે. જે પૂર્ણ થયા બાદ સરકારમાં અહેવાલ મોકલવામાં આવશે.