ગાયો તેમજ લોકોને ઘાયલ કરતા આખલાથી ડરનો માહોલ છવાઈ ગયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડ શહેરમાં છેલ્લા બે દિવસથી એક આખલો ગાંડોતુર બનીને શહેરમાં આતંક મચાવતો રહેતો, આવતા-જતા લોકો અને રખડતી ગાયો ઉપર હુમલો કરી ઘાયલ કરતો તેથી શહેરમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. અંતે બે દિવસ બાદ આખલાને પાંજરામાં પુરવારમાં પાલિકા કર્મચારીઓને આજે ગુરૂવારે સફળતા મળી હતી. આખલો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડમાં છેલ્લા બે દિવસથી ગાંડો બનેલો આખલો શહેરના લોકો અને ગાયોને રંજાડી રહ્યો હતો. ચોમેર ભયનું વાતાવરણ આખલાએ ખડકી દીધું હતું. પાલિકાના સભ્ય જાકીર પઠાણે પાલિકાને આખલા માટે રજૂઆત કરતા અંતે પાલિકા તંત્ર એકશનમાં આવ્યું હતું. એન્ક્રોચમેન્ટ અધિકારી મહેશ ચૌહાણ અને સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશ પટેલ તથા સ્થાનિકો અને પાલિકા કર્મચારીઓબે-ત્રણ કલાકની ભારે જહેમત ઉપાડીને પાથરી અને જુજવા ગામ વચ્ચે વાંકી નદીના પુલ પાસે આખલાને પાંજરામાં પુરવાની સફળતા મળી હતી. ખાસ કરીને આ ગાંડો આખલો તાંબાવાડ વિસ્તારમાં વધુ રંજાડતો હતો. આખલો પાંજરે પુરાતા લોકોએ શાંતિનો શ્વાસ લીધો હતો.