નિર્મળાબેનના રાજીનામાથી ભાજમપાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો : ત્રણ દિવસ બાદ તેઓ પ્રગટ થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: તાજેતરમાં વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિ.પં. ભાજપના સભ્ય શ્રીમતી નિર્મળાબેન જાદવએ શિક્ષણ સમિતિ ચેરમેન અને જિ.પં. સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેને લઈ જિલ્લા ભાજપમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્રણ દિવસ બાદ નિર્મળાબેન મીડિયાની સામે આવ્યા હતા અને રાજીનામું આપવાના કારણો અંગે ખુલાશો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જોડાઈ હોવાની માત્ર અફવા છે. મેં એવો કોઈ પણ નિર્ણય લીધો નથી.
વલસાડ જિ.પં. પરિસરમાં ગત તા.18મી જુલાઈએ રાજકીય હંગામો મચી ગયો હતો. મોટી કોરવડ સીટ ઉપર ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા નિર્મળાબેન કેશવભાઈ જાદવ સત્તાધારી ભાજપ શાસિત જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હતા પરંતુ એકાએક સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું મોકલી આપતા ભાજપમાંભુકંપ છવાયો હતો. રાજીનામા બાદ નિર્મળાબેન ગુપ્તવાસમાં હતા. પક્ષ પણ સંપર્ક કરી શકતો નહોતો. બીજુ ધરમપુર પોલીસમાં ગુમ થયાની જાણ પણ કરાઈ હતી. ત્રણ દિવસના સમય બાદ નિર્મળાબેન જાહેરમાં આવ્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે, રાજીનામું આપવાનું કારણ પતિનો ત્રાસ તથા સ્થાનિક પાર રિવર લીંક આંદોલનને ગણાવ્યું હતું અને તેઓએ સ્પષ્ટતા પણ કરી હતી કે હું હજું સુધી કોંગ્રેસમાં જોડાઈ નથી. આ બધી અફવાઓ છે.