ઋષિ પરંપરા વન શિક્ષણ અને સંસ્કાર ભારત વર્ષની મહામુલી સંપદા છે : સ્વામિ વિદ્યાનંદ સરસ્વતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26
વાપી છરવાડા સ્થિત મંજુબેન દાયમા મેમોરિયલ સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા શનિવારે બપોરે 4:00 કલાકે વી.આઈ.એ. ઓડિટોરિયમમાં શાનદાર એન્યુઅલ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
વાર્ષિકોત્સવ કાર્યક્રમનો પ્રારંભ શાળાની બાળાઓ દ્વારા સ્તૂત ગણેશ વંદનાથી પ્રારંભ થયો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને મહેમાન તથા ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય સંસ્કાર વિદ્યાપીઠ ટ્રસ્ટના ચેરમેન બી.કે. દાયમાએ તેમની લાક્ષણિક છટાદાર શૈલીમાં આપ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે બરૂમાળ ધરમપુર ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂ.વિદ્યાનંદજી સરસ્વતિજીએ આશિર્વચન આપતા ઓમ શ્લોકના ઉચ્ચારણ સરસ્વતિ વંદના સાથે તેમણે મનનીય ઉદ્બોધનમાં જણાવ્યું હતચું કે, ઋષિ પરંપરા, વન શિક્ષણ એ આપણા ભારત વર્ષની સંપદા અને સંસ્કાર છે. આશ્રમ શાળામાં 700 ઉપરાંત આદિવાસી બાળાઓ અભ્યાસ કરી રહી છે. આ પ્રસંગે સંસ્કાર વિદ્યાપીઠના પ્રેરણાસ્ત્રોત સ્વ.મંજુબેન દાયમાના જીવન કવન અને સામાજીક જાહેર જીવનનીઝાંખી પણ રજૂ કરાઈ હતી. અન્ય અતિથિઓ વી.આઈ.એ. સેક્રેટરી-નોટિફાઈડ ચેરમેન- ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, જાણીતા એડવોકેટ શ્રીમતી રશ્મિકાબેન મહેતા, રાજસ્થાન પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી રાજેશ દુગ્ગર તથા છરવાડા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પેટલ, તથા પૂર્વ પાલિકા પ્રમુખ ટ્રસ્ટ સેક્રેટરી વી.આર. પટેલ તથા પ્રિન્સિપાલ માધુરી તિવારી ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેરેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.