-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશના વહીવટીમાળખામાં પરિવર્તન કરી સંઘપ્રદેશની બાગડોર પ્રફુલભાઈ પટેલને સોંપ્યા બાદ થયેલા પ્રદેશના અકલ્પનિય ઐતિહાસિક વિકાસનું ઋણ ચુકવવા લોકોમાં જાગેલો ઉત્સાહ
-
આજે માત્ર 6 વર્ષના સમયગાળામાં દેશના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ નહીં પરંતુ વિકસિત રાજ્યો કરતા પણ એક કદમ આગળ ચાલી રહેલું દાદરા નગર હવેલી અને દમણ-દીવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નવેમ્બર માસના અંતમાં દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા હોવાની વહેતી થયેલી ખબરથી સમગ્ર સંઘપ્રદેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. પ્રદેશના તમામ લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઋણ સ્વીકાર માટે અધિરા બન્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નવેમ્બર મહિનાના આખરમાં દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવવાના હોવાની ખબર વહેતી થતાં જ પ્રદેશના લોકો બીજી દિવાળી મનાવવાની ખુશીમાં આવી ગયા છે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી માળખામાં પરિવર્તન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેના કારણે પ્રશાસક પદે આઈ.એ.એસ. અધિકારીના સ્થાને પ્રજા સાથે જોડાયેલા અને કર્મઠ નિષ્ઠાવાન ગુજરાતરાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલને સંઘપ્રદેશના પ્રશાસક પદની બાગડોર સોંપી હતી. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે એક પછી એક શરૂ કરેલા સુધારાના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ નહીં, પરંતુ વિકસિત રાજ્યોની સરખામણીમાં પણ એક કદમ આગળ નિકળી ગયું હોવાનું દેખાય છે.
સંઘપ્રદેશના થયેલા અકલ્પનિય ઐતિહાસિક વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઋણને માથે ચડાવવા માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તલપાપડ થઈ રહ્યું છે. તેથી તેમના આગમનના સમાચાર મળતાં જ સમગ્ર પંથકમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પેદા થયું છે.
-
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સંઘપ્રદેશને ચોખ્ખું ચણાંક કરવા સંઘપ્રદેશના લોકોમાં સ્વયંભૂ પેદા થયેલી સક્રિયતા
-
પ્રજાના પ્રતિનિધિઓએ પણ સમાચાર મળતાં જ પોતાના વિસ્તારનું શરૂ કરેલું અવલોકનઃ પ્રશાસકશ્રીના આદત બદલવાના અભિયાનને મળેલી મોટી સફળતા
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા હોવાની ખબર વહેતી થતાં સંઘપ્રદેશના લોકો સ્વયંભૂ પોતાના વિસ્તારની સ્વચ્છતા માટે સક્રિય બન્યા છે. આજે સવારથીજ લોકો પોતપોતાના ઘર અને વિસ્તારની સ્વચ્છતા માટે પણ સજાગ બન્યા હતા.
દમણમાં તમામ પ્રજાના પ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારમાં સ્વચ્છતાનું અવલોકન કરી જાહેર જગ્યા ઉપર કોઈ કચરો નહીં રહે તેની તકેદારી પણ લઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલ આદત બદલવાના અભિયાન બાદ લોકોની જ્યાં ત્યાં કચરો નાંખવાની ટેવમાં પણ સુધારો આવ્યો છે અને હવે જાહેર રસ્તા ઉપર કચરો નહીં ફેંકવાની આદત પડેલી દેખાઈ રહી છે.