ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવા નિષ્ફળ : હપ્તાખોરીના મુદ્દે સસ્પેન્ડ કરાયેલા આટિયાવાડના સરપંચ ધર્મેશ પટેલનું સસ્પેન્શન રદ્ થશે કે કેમ? તેના ઉપર મંડાયેલી તમામની નજર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ ધર્મેશ પટેલને આજે એક ખંડણીના ગુના હેઠળ નિર્દોષ છોડી મુકવાનો આદેશ દમણ કોર્ટના વિદ્વાન જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પ્રથમ શ્રેણી શ્રી જે.જે.ઈનામદારે જારી કર્યો છે. જેના કારણે ધર્મેશ પટેલનું સરપંચ પદેથી કરાયેલું સસ્પેન્શન પરત ખેંચાવાનીસંભાવના પણ પ્રબળ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપરમેક ફોઈલ પ્રાઈવેટ લિમીટેડના મેનેજર શ્રી પ્રકાશ કે. ભટ્ટે આટિવાયાવાડ પોલીસ આઉટપોસ્ટ ખાતે તા.26મી જુલાઈ, 2021ના રોજ ફરિયાદ કરી હતી કે, 27મી જાન્યુઆરી, 2021થી 26 જુલાઈ સુધી આટિયાવાડના સરપંચ ધર્મેશ પટેલ અને જયંત પટેલ તેમની કંપનીમાં કોઈપણ પ્રકારની પરવાનગી વગર ઘુસી આવ્યા હતા અને જબરજસ્તીથી રૂા.30 હજાર દર મહિને હપ્તો આપવાની ધમકી આપી ડરાવી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે આઈ.પી.સી.ની 385, 447 અને 34 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી.
લગભગ એક વર્ષ 1 મહિના સુધી ચાલેલી સુનાવણી દરમિયાન આજે દમણના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પ્રથમ શ્રેણી શ્રી જે.જે.ઈનામદારે આરોપી ધર્મેશ પટેલ અને જયંત પટેલના વિરૂદ્ધ દાખલ કરેલ ફરિયાદમાં પર્યાપ્ત પુરાવા નહીં મળતાં આરોપી ધર્મેશ પટેલ અને જયંત પટેલને નિર્દોષ છોડવાનો આદેશ જારી કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને આટિયાવાડના સરપંચ વિરૂદ્ધ હપ્તા વસૂલીની દાખલ થયેલી ફરિયાદ બાદ ધર્મેશ પટેલને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. હવે જ્યારે દમણ ન્યાયાલયે આ મુદ્દે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે ત્યારે સંઘપ્રદેશપ્રશાસન શ્રી ધર્મેશ પટેલને ફરી આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ પદે બેસાડશે કે કેમ? તે બાબતે જાણવાની ઉત્સુકતા પણ વધેલી છે.