સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલની હાક અને ધાક હોવા છતાં સોમનાથના ઈશ્વરભાઈ પટેલ અને તે સમયના આર.ટી.ઓ. કિરીટ વાજા તથા અન્ય અધિકારીઓએ પણ ખુલ્લેઆમ ભાજપનું કર્યું હતું કામ
આ ચૂંટણીમાં ભાજપના ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)નો માત્ર 607 મતે પરાજય થયો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : 2004ના વર્ષમાં લોકસભાની દમણ અને દીવ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના શ્રી ડાહ્યાભાઈ પટેલની સામે ભારતીય જનતા પક્ષે પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને ઉતાર્યા હતા. આ જંગ ખુબ જ રસપ્રદ અને રોમાંચક રહ્યો હતો.
સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલની હાક અને ધાક હોવા છતાં સોમનાથના શ્રી ઈશ્વરભાઈ પટેલે ખુલ્લેઆમ ભાજપની તરફેણમાં કામ કર્યું હતું. તત્કાલિન આર.ટી.ઓ. શ્રી કિરીટભાઈ વાજા સહિત કેટલાક અધિકારીઓએ પણ કોઈપણ પ્રકારની પરવા કર્યા વગર ભાજપ અને શ્રી ગોપાલ દાદાના પક્ષમાં કામ કર્યું હતું. જેની ઉચ્ચ સ્તરે કોંગ્રેસ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી.
શ્રી ગોપાલ દાદાના પક્ષમાં કોળી પટેલ સમાજનોબહુમતિ વર્ગ પણ આવી ગયો હતો અને તેમને વિજયી બનાવવા માટે તનતોડ પ્રયાસ પણ કરતા હતા. પરંતુ મતદાનના દિવસે કોંગ્રેસ અને શ્રી ડાહ્યાભાઈ પટેલના સમર્થકોએ અપનાવેલી આગવી રણનીતિ સામે ભાજપ સંગઠન અને શ્રી ગોપાલ દાદા ચેકમેટ થઈ ગયા હતા. જેના પરિણામે શ્રી ડાહ્યાભાઈ પટેલને 27,523 મત મળ્યા હતા. જેની સામે ભાજપના શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને 26,916 મત મળતાં માત્ર 607 મતે પરાજય થયો હતો. આ 607 મત મુખ્યત્વે દાભેલના પરપ્રાંતિયો પાસે કોંગ્રેસે તે વખતે કરાવ્યા હોવાની વાત વહેતી થઈ હતી.
શ્રી ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે સાંસદ બન્યા હતા અને કેન્દ્રમાં પણ કોંગ્રેસ શાસિત યુપીએની સરકાર આવતાં દમણ અને દીવમાં દાદાગીરી અને ભાઈગીરીની પણ શરૂઆત થઈ હતી. (ક્રમશઃ)