2016માં પ્રશાસક તરીકે અખત્યાર સંભાળ્યાના માંડ પાંચ-સાત મહિનામાં પ્રફુલભાઈ પટેલને હટાવવા શરૂ થયેલી બૂમ આજપર્યંત ચાલુ રહી છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બહુમતિ લોકો પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દેવદૂત માને છે, કારણ કે…
સંઘપ્રદેશમાં જેમનો હપ્તા અને ખંડણી ઉઘરાવવાના ધંધા, દાદાગીરી અને ભાઈગીરી કરતા હતા તેમની સામે લેવાયેલા આકરા પગલાં તથા ગંદી અને હવા-ઉજાશ પણ નહીં આવે તેવી ચાલોને સામાન્ય માણસ રહી શકે તેવી બનાવવાની નીતિ અપનાવતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આવા ગણ્યાં-ગાંઠયા લોકોને આકરા લાગે છે
દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને બે મિનિટમાં હટાવવા ગઈકાલે દમણની જાહેર સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ નિર્ધાર પ્રગટ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ માટે આ પહેલી ઘટના નથી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે 29મી ઓગસ્ટ, 2016ના રોજ અખત્યાર સંભાળ્યો અને માંડ પાંચ-સાત મહિના બાદ શ્રી પ્રફુલભાઈ પટેલને સંઘપ્રદેશથી હટાવવાનું અભિયાન શરૂ થયું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવના માંડ આંગળીના વેઢે ગણાય એવા કેટલાક નેતાઓને શ્રી પ્રફુલભાઈ પટેલ આટલા આકરા કેમ લાગે છે? આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓ વારે-તહેવારે કંઈકને કંઈક ગતકડું ફેલાવી પ્રદેશની દરેક સમસ્યા માટે શ્રી પ્રફુલભાઈ પટેલને દોષિત ઠેરવી તેમના વિરૂદ્ધ અનાપ-સનાપ બોલી લોકોને ગુમરાહ કરવાનું એક ષડ્યંત્ર ચાલી રહ્યું છે. પરંતુ પ્રદેશની દરેક સ્થિતિ ઉપર સીધી નજર રાખતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સારી રીતે સમજે છે કે, સંઘપ્રદેશના કેટલાક લોકોને શ્રી પ્રફુલભાઈ પટેલની સામે અણગમો કેમ છે?
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યા બાદ પ્રદેશમાંથી ગુંડાગીર્દી અને ભાઈગીરી હટાવવા અભિયાન શરૂ કર્યું. જેના કારણે પ્રદેશના કેટલાક સફેદપોશ ગુંડાઓ લોકોની સામે બેનકાબ થયા.
દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં ચાલતી હપ્તાખોરી અને ખંડણીખોરી સામે લાલ આંખ કરવાનું શરૂ કર્યું જેના કારણે કેટલાક રાજકારણીઓની દુકાન પણ બંધ થવા માંડી. જેઓ પણ તક મળે ત્યારે કોઈની નજરે નહીં પડે તે રીતે વિરોધ કરતા થયા. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓને રહેવા માટે સારી વ્યવસ્થા મળે અને તેમને હવા-ઉજાશવાળું રહેઠાણ પ્રાપ્ત થાય અને ચાલીઓનામાલિક દ્વારા શ્રમજીવીઓના થતાં શોષણને બંધ કરાવવા લીધેલા કડક પગલાંના કારણે દમણ અને દાદરા નગર હવેલીના ચાલમાલિકોને સીધી અસર થતાં તેઓ પણ વિરોધનો સૂર પ્રગટ કરતા થયા. સંઘપ્રદેશ પ્રશાસને કામદારો માટે હવા-ઉજાશ તથા સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરી આપતાં ચાલમાલિકો પ્રત્યે સહાનુભૂતિનું વલણ પણ અખત્યાર કર્યું છે. આવા ચાલમાલિકો પ્રશાસન અને સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની પ્રશંસા કરતા પણ થાકતા નથી એ પણ એક સત્ય છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે બતાવેલી અડગ ઈચ્છાશક્તિના કારણે જ આજે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના રસ્તાઓ પહોળા થઈ શક્યા છે. નાની અને મોટી દમણમાં આકર્ષક બીચ રોડનું નિર્માણ શક્ય બન્યું છે. સેલવાસમાં દાયકાઓથી અટવાયેલા રીંગરોડનું સ્વપ્ન સાકાર થયું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીને ખબર નથી કે દાદરા નગર હવેલી અને દમણ-દીવના બહુમતિ લોકો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને દેવદૂત માને છે. કારણ કે, શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોના કારણે જ દાદરા નગર હવેલી અને દમણ-દીવના હજારો પરિવારોનું ભવિષ્ય સમૃદ્ધ અને સલામત બન્યું છે. તેમના આગમન બાદ પહેલી વખત કોઈપણ પ્રકારની લેણ-દેણ વગર થયેલી ભરતીમાં ઘણાંને પી.એસ.આઈ., એક્સાઈઝઈન્સ્પેક્ટર, પોલીસ કે અન્ય નોકરીમાં તક મળી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડોમિસાઈલ ઉમેદવારોને મળતા 20 માર્ક્સ કાઢી નાંખ્યા હોવાની વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવી રહેલી વાત તદ્ન ખોટી છે, હકિકતમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં 20 માર્કસ કાઢી નાંખવાનો આદેશ આપ્યો છે. જેનો અમલ સંઘપ્રદેશ પ્રશાસને પણ કરવો પડે છે. તેથી લોકોને ગુમરાહ કરવાની ચેષ્ટા હવે વિરોધ પક્ષોને જ ભારે પડી રહી હોવાનું સમજાય છે.
એક્સ્ટ્રા કોમેન્ટ
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના શરૂ કરેલા સર્વાંગી વિકાસના કારણે પડોશમાં આવેલ દેશ માલદીવ્સના પેટમાં તેલ રેડાયું હતું અને તેમણે સાર્વજનિક મંચ ઉપરથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો વિરોધ શરૂ કર્યો હતો. ત્યારે દમણમાં કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને હટાવવા કરેલો નિર્ધાર ક્યાંક ને ક્યાંક તેમનું માલદીવ્સ કનેક્શન તો નથી ને?!..