(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના સુરંગી ખડોલીથી વેલુગામ થઈ સીધો મહારાષ્ટ્ર તરફ નવો હાઈવે પસાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ કેટલાક પરિવારોને યોગ્ય વળતર નહીં મળતા અને જમીનની જગ્યાએ જમીનની માંગણી કરતા ખડોલી ગામના કારભારીપાડામાં રહેતા 10થી વધુ પરિવારોએ આ હાઈવેનો ભારે વિરોધ કર્યો છે. જેના માટે ગામના સરપંચશ્રીએ જિલ્લા પંચાયતની ટીમને રજૂઆત કરતા જિ.પ. ઉપ પ્રમુખ દિપક પ્રધાન અને સભ્ય વિપુલ ભુસારાએ ખડોલી ગામના કારભારીપાડાના સ્થાનિકોની મુલાકાત લીધી હતી અને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનોએ હાલમાં એક જ માંગ કરી છેકે અહીંથી હાઈવે પસાર નહીં જ થવા દઈએ. અને જો અમારા ઘરો તોડીને જો રસ્તો લઈ જવા માંગો છો તો એ હરગીઝ નહીં જ થવા દઈએ. જિ.પં.ના ઉપ પ્રમુખ દિપક પ્રધાન અને એમની ટીમે ગામના લોકોની મુલાકાત હતી તે દરમ્યાન એ પણ ધ્યાનમાં આવ્યું કે ત્રણ ઘરો તો પ્રશાસન દ્વારા ‘ઈન્દિરા આવાસ’ હેઠળ બનાવી આપવામાં આવેલ છે અને અન્ય 10 જેટલા ઘરના લોકોનું જે પ્રશાસન દ્વારા વળતર આપવા માટે લીસ્ટ બનાવવામાં આવેલ છે એમાં તેઓનું નામ જ નથી. તો કેટલાક એવા લોકો પણ છે કે જો એમનું અહીંનું ઘર તૂટી જશે તો બીજે ક્યાંય પણ તેઓ પાસે ઘર બનાવવા માટે જગ્યા જ નથી.
આ અંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ દિપક પ્રધાને જણાવ્યું હતું કે, અમે કલેક્ટરશ્રીને મળી આ અસરગ્રસ્ત જેટલા પણ પરિવારના લોકો છે તેઓને એમના ઘરની જે જગ્યા છે એની જગ્યાએ અન્ય ઠેકાણે જમીન ફાળવવામાં આવે અને યોગ્ય વળતર પણ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવશે. હાલમાં તો ગ્રામજનોએ અમને વળતર નહીં, અમેને અમારી જગ્યાના બદલે જગ્યા જ જોઈએ એવી માંગ કરી રહ્યા છે.