(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ પાગીપાડા નહેરની બાજુમાંથી ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીનો અંદાજિત 400 કિલ્લો જેટલો જથ્થો મળી આવ્યા હતો. આ ઘટનાને દસ દિવસ વીતી ગયા હોવા છતાં આ દવા ગોળીના જથ્થો કઈ કંપનીમાં તૈયાર થયેલો છે અને કોના દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે એની માહિતી બહાર આવવા પામી નથી.સ્થાનિકોની ફરિયાદના આધારે ઘટના સ્થળ ઉપર ઘસી આવેલી ગુજરાત પોલ્યુશન નિયંત્રણ સમિતિ સરીગામ કચેરીના અધિકારીઓએ જથ્થાને નિયમ અનુસાર કોમન બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી વાપીની સાઇટમાં ડિસ્પોસલ કરવાની કામગીરી પૂર્ણ કરી છે. અને આ ઘટનામાં મુખ્ય આરોપી કંપની સુધી પહોંચવા સેમ્પલોને તપાસ અર્થે ઔષધ નિરીક્ષક વિભાગને મોકલી આપવામાં આવ્યો છે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ઘટનામાં જીપીસીબીના અધિકારીઓએ હાથ ધરી તપાસમાં આ પ્રકારની ટેબલેટ સરીગામ તેમજ એમના દાયરામાં આવતી કંપનીઓમાં તૈયાર થતી નહીં હોવાનું બહાર આવી રહ્યું છે. આ ગોળીઓ પર દવાનું નામ કે રેપર સ્પેસિફિકેશન કરવામાં આવ્યું નથી. હવે ગોળીઓમાં સમાવેશ કન્ટેન્ટના એનાલિસિસ રિપોર્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રાહ જોવાઈ રહી છે. આ પ્રકારે ગેરકાયદેસર રીતે દવાનો જથ્થાનો નિકાલ કરવાની ઘટના ગંભીર છે. આ દવા બનાવટી પણ હોઈ શકે અથવા કંપનીમાં નિયમ વિરુદ્ધ અને જવાબદાર વિભાગની પરવાનગી વગર ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવાની પણ શકયતા નકારાતી નથી. અથવા કોઈ ટ્રેડર્સ દ્વારા એક્સપાયર થયેલા સ્ટોકનો નિકાલ કર્યો હોય એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગેરકાયદેસર રીતે નિકાલ કરેલ આગોળીનો જથ્થો વેરાન કે જ્યાં કોઈની નજર ન પડે એવી જગ્યા અથવા ખાડો ખોદીને દાટીને નિકાલ કરવાની જગ્યાએ સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં અવરજવર વાળા રસ્તા ઉપર પસાર થતાં વ્યક્તિઓને નજર સમક્ષ આવી જાય એ રીતે ફેકવામાં આવેલો હતો. જેથી આ ઘટનામાં કોઈ કંપનીના માલિકને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરી અથવા તો જીપીસીબી અધિકારીઓને પરેશાન કરવાના ઈરાદે આ પ્રકારનું કળત્ય કરવામાં આવ્યું હોવાનું જીઆઇડીસીના ઉદ્યોગપતિઓમાં ચર્ચા જોવા મળી રહી છે. સરીગામ જીઆઇડીસીમાં આ પ્રકારની ઘટનામાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી તોડબાજી, ધાકધમકી અને બ્લેકમેલિંગ કરવાનું મોટું નેટવર્ક પથરાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ સ્થાનિકો તેમજ ઉદ્યોગપતિઓ અને તટસ્થ તેમજ પારદર્શક રીતે કામગીરી કરતા અધિકારીઓના હિતમાં પણ નથી જેથી આ પ્રકારની ઘટનામાં જવાબદાર વિભાગે સત્ય બહાર લાવવા ગંભીરતા દાખવે એવી સરીગામ તેમજ આજુબાજુની સ્થાનિક પ્રજામાં માંગ ઉભી થવા પામી છે.