(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે સેલ્યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજમાં વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલા વિશેષ, ઉચ્ચશિક્ષણ મેળવી વ્યવસાય સ્થાપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, છેલ્લા 5 વર્ષમાં જાહેર પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓના સન્માન તથા નિરાધાર દીકરીઓને સંસ્થા દત્તક લઈ તેમનાઅભ્યાસ અંગેની સંપૂર્ણ જવાબદારી નિભાવવા અંગેના પ્રમાણપત્ર એનાયત કરવા, જરૂરતમંદ વિધવા બહેનોને આર્થિક સહાય વિતરણ, સાંસ્કળતિક કાર્યક્રમ તથા કવિ સંમેલન જેવા રંગારંગ કાર્યક્રમનું ભવ્ય મંચન થયું હતું.
સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય સંરક્ષક પૂજ્ય કપિલ સ્વામીજી તથા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.રૂચી ચતુર્વેદી નેજામાં અને ભાનુપ્રસાદ રેડ્ડીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રીમતી મીનલબેન દેસાઈએ કર્યું હતું. પરિચય વિધિ પૂજ્ય કપિલ સ્વામીજીએ કરી હતી.
સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહિલા દિવસ એક દિવસની ઉજવણીનો નથી, મહિલાઓના સહયોગ, સમર્થન, આશીર્વાદથી, ત્યાગ થકી પરિવાર, રાષ્ટ્ર, દેશવિદેશ આગળ વધે છે. તેમણે ગુજરાતને આંગણે સેલ્યુટ તિરંગાના બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના સલવાવ ખાતે ટૂંકા ગાળામાં કરાયેલા અદ્ભુત આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના માધ્યમથી આદિવાસી ક્ષેત્રથી લઈ શિક્ષણ અને સમજ સહિત દરેક ક્ષેત્રમાં સેવાનું કાર્ય કરી રહેલ છે. શિક્ષણનું કાર્ય વ્હાઈટેસ્ટ ઓફ ધ વ્હાઈટેસ્ટ કાર્ય છે. જે સંસ્થામાં રાષ્ટ્રનાઘડવૈયા ઘળવાનું કાર્ય કરે છે. આપણે દીકરીઓનું સન્માન કરવું જોઈએ. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું કૌવત દેખાડયું છે. સેલ્યુટ તિરંગા 27 રાજ્યમાં ચાલતી પ્રવૃત્તિની પણ જાણકારી આપી હતી.
સેલ્યુટ તિરંગા મહિલા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષા એડવોકેટ પ્રતિભા દેસાઈએ જણાવ્યું કે, મહિલા દિવસથી નહિ, મહિલાથી દિવસની શરૂઆત થાય છે. તેમણે મહિલા દિવસના આયોજનની પ્રશંસા કરી નારીઓના સન્માન અને સુરક્ષાની જવાબદારી દેશના પ્રત્યેક નાગરિકોની હોવાનું જણાવી નારીઓના માટે પોતે જીવનના અંત સુધી લડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, એડવોકેટ પ્રતિભા દેસાઈએ સુરત ખાતે દુશ્કામનો ભોગ બનેલી માસુમ દીકરીઓના મફત કેસ લડી તેમના અપરાધીઓને ફાંસીની સજા કરાવવા સુધી તથા પીડિતાને મેડીકલ ટ્રીટમેન્ટથી લઈ તેના કન્યાદાન સુધીની જવાબદારી પોતાના શિરે લઈ સમાજને નારી શક્તિનો પરચો બતાવ્યો છે.
વાપી નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહએ જણાવ્યું કે, આપણે ત્યાં નારીઓનું સન્માન સદીઓથી થતું આવ્યું છે. વચ્ચે એવો સમય આવ્યો કે નારીઓ સાથે અત્યાચારના બનાવો સામે આવ્યા. આજે ફરી નારી સન્માન માટે સમાજ આગળ ધપી રહ્યો છે. તેમણે પોતાના જીવનના સ્મરણો તાજા કરી પોતાની પ્રગતી માટેપોતાની માતાને શ્રેય આપતી રસપ્રદ વાતો કરી હતી.
આ ઉપરાંત આ પ્રસંગે 15 જેટલા વિશિષ્ટ મહિલાઓના સન્માનો, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમાં 2 ડોક્ટર, 4 સી.એ તથા 2 એડવોકેટની પ્રેક્ટીસ કરતા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર પરીક્ષામાં ટોપ થનાર 42 તેજસ્વી વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 14 નિરાધાર બાળકોને ધોરણ 1 થી 12 સુધી નિવાસી વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકે તેવા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તથા 14 વિધવા નિરાધાર બહેનોને પ્રત્યેકને રૂપિયા 11 હજારની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કવયિત્રી ડો.રૂચી ચતુર્વેદી તથા કવિ મનવીર માધુર અને કવિ દિનેશ દેવધરિયાએ વ્યંગ્ય અને હાસ્ય કવિતા થકી શ્રોતાઓને ન્યાલ કર્યા હતા.
આ પ્રસંગે પદ્મશ્રી પ્રભાબેન શાહ, યશોદા દીદી, ડો.શ્રી મહંત જયાનંદ સરસ્વતી, શ્રીમતી સુજાતાબેન શાહ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, ખ્યાતી મહેતા, ડિમ્પી બજાજ, શ્રી કમલેશભાઈ પટેલ (વી.આઈ.એ. પ્રમુખ), શ્રી મુકેશભાઈ ઠાકુર, શ્રી અરુણભાઈ ભંડારી, શ્રી હરીશભાઈ રાવલ, શ્રી રાજેશભાઈ દુગ્ગડ, શ્રી મુકેશભાઈ શ્રીમાળી ઉપરાંત સંતગણ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. અંતે અભારવિધિ કલ્ચરર કમિટી હેડ શ્રીમતીઆશા દામાએ આટોપી હતી.