પારડી પ્રાંતના ઓર્ડરના આધારે ડી.આઈ.એલ.આર.ના અધિકારીઓએ રસ્તાની જમીનની હાથ ધરેલી માપણી બાદ કંપનીએ ગેરકાયદેસર નિર્માણ કરેલ સિમેન્ટ કોંક્રીટ માર્ગને હટાવવા સિવાય છૂટકો નથી : ષડયંત્ર કારીઓમાં હડકંપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.09
સંજાણની અમર ટી કંપનીનું લાંબા સમયથી ચાલતું રસ્તા વિવાદી પ્રકરણ હવે નિર્ણાયક તબક્કામાં આવી ગયું છે. નાયબ કલેક્ટર અને પારડી પ્રાંત અધિકારી સી.પી. પટેલે દોઢ વર્ષ પહેલા આપેલો ચુકાદાના આધારે ડી.આઈ.એલ.આર.ના અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા માપણી હાથ ધરાયા બાદ હવે કંપની દ્વારા નિર્માણ કરેલ સિમેન્ટ કોંક્રિટનામાર્ગને હટાવવા સિવાય વિકલ્પ નહીં બચતા આ ષડયંત્રમાં સામેલ કંપનીના માલિક સંજય શાહ સહિત જમીન વેચનાર અને મદદરૂપ થનારા સરકારી અધિકારીઓના પગ નીચે રેલો આવવાની શકયતા વધી જવા પામી છે. ખાસ કરીને કંપનીના માલિક સંજય શાહે સરકારની પરવાનગી મેળવવા કરેલ એન.એ. સહિતની પ્રક્રિયામાં રજૂ કરેલા કાગળો પણ બોગસ પુરવાર થવાના ડરથી ભારે દોડધામ મચી જવા પામી છે. અને યેનકેન પ્રકારે જમીનના માલિકોને મનાવવાની હિલચાલ ચાલુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સરકારે નિયંત્રિત સત્તા પ્રકારની આપેલી જમીનમાં આ શકય નથી જેથી ન્યાય મળવાની પુરેપુરી શકયતા જણાઈ રહી છે.
વિગતે જોતાં આ પ્રકરણ 2015 થી ચાલી રહ્યું છે. અમર ટી કંપનીએ આદિવાસીઓની જમીન પર બળજબરીપૂર્વક સિમેન્ટ કોંક્રિટના રોડનું નિર્માણ કર્યા બાદ જમીન ગુમાવનાર અને ભોગ બનનાર આદિવાસીઓએ સંજાણના જાગૃત નાગરિક શ્રી ફકીરભાઈ સુલેમાનની મદદ મેળવી ન્યાય માટે સંબંધિત તમામ વિભાગનુ ધ્યાન દોર્યું છે. આ પ્રકરણની લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કલેક્ટરના દરબારમાં પણ ફરિયાદ કરી છે અને તાજેતરમાં રાજ્યના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત બાદ તપાસમાં વેગ આવ્યો છે.
આ ઘટનામાં ખાસ નોંધવા જેવું એ છે કે ગત તારીખ 25/8/20ના રોજ પારડી પ્રાંતે આપેલો ચુકાદો ‘‘73 એએ સત્તાપ્રકાર વાળી અરજદારની માલિકીની જમીન પૈકી કેટલીક જમીન રસ્તામાં આવે છે તેની સ્થળે આ કામના પક્ષકારો તલાટી કમ મંત્રી તથા પંચો રૂબરૂ સામેવાળા અનુક્રમ નંબર 1 ના ખર્ચે માપણી કરાવી નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત (મ×મ) પેટા વિભાગ ઉમરગામ તથા તલાટી કમ મંત્રી પંચાયત દ્વારા સદરહુ દબાણ દૂર કરવામાં આવે તે મામલતદાર શ્રી ઉમરગામ દ્વારા સુનિヘતિ કરવા ઠરાવવામાં આવે છે. પ્રાંત અધિકારીના આ ચુકાદાને અમલ કરવામાં દોઢ વરસનો વિલંબ થયો છે. આ માપણી પહેલા કંપનીએ માર્ગ હટાવાની બતાવેલી તૈયારીના ભાગરૂપે ગત તા.28/7/21 ના રોજ એક પંચનામું કરવામાં આવ્યું હતું. વિવાદીત સ્થળ ઉપર માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ, કંપનીના ઓથોરાઈઝ પર્સન, પંચાયતના તલાટી કમ મંત્રી અને ફરિયાદીઓની હાજરીમાં પંચનામું કરી વરસાદના વિરામ બાદ આ રોડને હટાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે વરસાદી મોસમ પૂર્ણ થયા ને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં પંચનામામાં નક્કી કરેલ રોડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી એમાં સરકારી અધિકારીઓની ઇરાદાપૂર્વકની વિલંબગીરી ઈમાનદારીની ચાડી ખાય છે.