(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: રાજ્યભરમાં વિવિધ સંગઠનો દ્વારા સરકાર સામે પોતાની પડતર વિવિધ માંગણીઓ લઈ કર્મચારીઓ પોતાના કામોથી અળગા રહ્યા હતા. એ જ રીતે આંગણવાડી કાર્યકર બહેનો પણ પોતાની માંગણી સંદર્ભે હડતાલ પર જોડાતા સરકાર દ્વારા તેમની માંગણી સંતોષાતા આંગણવાડીમાં નાના ભૂલકાઓના કિલ્લોલ થી ગુંજી ઉઠી છે.
આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર પોતાની માંગણી સંદર્ભે 17 દિવસ જેટલી લાંબી હડતાલ પર જઈ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે રણસિંગું ફૂંકી આંગણવાડી તાળા મારીને મેદાન ઉતરી હતી ત્યારે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો દ્વારા રોજ રોજ વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને સરકાર દ્વારા આંગણવાડીકાર્યકર બહેનોના ભથ્થામાં રૂા.2200 વધારીને રૂા. 10,000/- અને તેડાગર બહેનોના ભથ્થામાં રૂ. 1500/- વધારીને રૂા.5500/- કરવામાં આવતા આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની હડતાળ સમેટાઈ થઈ હતી. અને મંગળવારથી ફરી આંગણવાડી શરૂ થતા ચીખલી તાલુકાની 395-થી વધુ આંગણવાડીઓના નાના ભૂલકાઓ કિલ્લોલથી ગુંજી ઉઠી હતી.