‘‘દક દ્રશ્ય વિવેક”, ‘‘સાંઈ કેરી વાણી”, ‘‘સાંઈ મકરંદ વૈવિધ્યપૂર્ણ વિભૂતિમત્વ”, તથા ‘‘ડિવાઈન દર્શન એડવેન્ચર ઈન કોંસીયસનેસ” પુસ્તકો સમાજને અર્પિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
મૂર્ધન્ય કવિ શ્રી સાંઈ મકરંદ દવેનો જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ મહોત્સવ તેમની કર્મભૂમિ વલસાડના નંદીગ્રામમાં સુંદર રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે રક્તદાન કેમ્પ,પુસ્તક વિમોચન, પ્રાર્થના, ભજનો અને વાચિકમ સહિતનાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત નંદીગ્રામની પરિક્રમાથી થઈ હતી, જેમાં સાંઈએ સ્થાપેલા તમામ જાગૃત સાધના સ્થળોએ દીપ પ્રગટાવીને દેવોને આહ્વા અપાયું હતું. ત્યારબાદ એક તરફ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તો બીજી તરફ શતાબ્દી વર્ષ નિમિત્તે તૈયાર કરેલા પુસ્તકો ‘‘દક દ્રશ્ય વિવેક”, ‘‘સાંઈ કેરી વાણી”, ‘‘સાંઈ મકરંદ વૈવિધ્યપૂર્ણ વિભૂતિમત્વ”, તથા ‘‘ડિવાઈન દર્શન એડવેન્ચર ઈન કોંસીયસનેસ” સમાજને અર્પિત કરી પ્રત્યેક પુસ્તકનો પરિચય આપવામાં આવ્યો હતો.
મકરંદભાઈના ચાહક મિત્રો ગફુરભાઈ બિલખીયા તથા જાદવજીભાઈ શેઠિયાએ વક્તવ્ય આપ્યું હતું. સંધ્યા ટાણે મકરંદભાઈના ગીતો, ભજનોનું ગાન અર્થસહિત શ્રોતાગણોએ માણ્યું હતું. જાણીતા ભજનીક શ્રી નિરંજન રાજયગુરુ, શ્રી હાર્દિક દવે તથા નંદીગ્રામના સાથીવૃંદે ભજન સંધ્યાને શોભાવી હતી. તા. 17 મીના રોજ મકરંદભાઈના નિવાસસ્થાને ટૂંકી પ્રાર્થના કરી નંદીગ્રામ સ્થિત હનુમાન મઢી ઉપર ધ્વજારોહણ કરી પ્રસંગની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તેમના સમાધિ સ્થળ ઉપર પ્રાર્થના ગીતોના તથ્યવાંચન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સ્થાનિક કલા પ્રેમી મિત્રોના પ્રેમ તથા ભવાંજલિ પૂર્ણ સ્વરૂપે રચાયેલા મકરંદ ગાથા અદ્વૈતની આરાધનાવાચિકમ સ્વરૂપે શ્રી જિજ્ઞેશ પટેલ તથા મિત્રો દ્વારા પ્રસ્તુત થઈ હતી. જે ખૂબ જ હૃદયસ્પર્શી વાચિકમના લીધે જાણે સહુના મન હૃદયમાં માત્ર મકરંદભાઈ વ્યાપી ગયા હતા. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી માધવપ્રિયદાસજીએ મકરંદભાઈ સાથેના સસ્મરણો તથા અંગત અનુભવોનો પ્રસાદ પીરસી સૌને ભાવવિભોર કરી દીધા હતા. અંતે મકરંદભાઈની સમગ્ર કવિતા ઉપર શ્રી વિમલભાઈના વક્તવ્ય સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. જન્મ શતાબ્દી વર્ષ અવસરે ઠેકાણેથી આવેલા નંદીગ્રામ પરિવારના સ્વજનો તથા મિત્રોએ મળીને રાસની રમઝટ બોલાવી ગમતાનો ગુલાલ પણ કર્યો હતો.