સંઘપ્રદેશમાં ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના બેચલર ડિગ્રી માટેની પ્રવેશ પ્રક્રિયાનો પણ આજથી આરંભ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનીશૈક્ષણિક ક્ષેત્રે ઔર એક ઊંચી ઉડાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્ટિ અને અથાક પ્રયાસ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રદેશ પ્રત્યેના આશિર્વાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્યક્ષેત્રે શ્રી વિનોબા ભાવે ઈન્સ્ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્સના આરંભ સાથે ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના સ્નાતક સ્તરના અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા પણ આવતીકાલથી શરૂ થઈ રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આવતીકાલ તારીખ 21મી નવેમ્બરના રોજથી સેલવાસની શ્રી વિનોબા ભાવે ઈન્સ્ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્સના આરંભ સાથે બેચરલ ઓફ ફિઝીયોથેરાપી, બેચરલ ઓફ ઓક્યુપેશનલ અને બેચરલ ઓફ સાયન્સ ઈન રેડિયોલોજી એન્ડ ઈમેજીંગ ટેકનોલોજીના અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ ત્રણેય પ્રત્યેક કોર્ષમાં 20 બેઠકોની અનુમતી યુનિવર્સિટી અને સરકાર દ્વારા આપવામાં આવી છે. હવે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના અભ્યાસક્રમના આરંભ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઔર એક ગૌરવપ્રદ છલાંગ લગાવી છે.
સંઘપ્રદેશના આરોગ્ય નિર્દેશક ડો. વી.કે. દાસના જણાવ્યા પ્રમાણેદાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી વિનોબા ભાવે ઈન્સ્ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્સ શરૂ થવા સાથે સાડા ચાર વર્ષના ડિગ્રી કોર્ષ બેચરલ ઓફ ફિઝીયોથેરાપી, બેચરલ ઓફ ઓક્યુપેશનલ અને બેચરલ ઓફ સાયન્સ ઈન રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો પણ આરંભ થઈ રહ્યો છે. જે બદલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ હંમેશના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઋણી રહેશે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટેડ આ શ્રી વિનોબા ભાવે ઈન્સ્ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્સમાં ઉપરોક્ત ત્રણેય કોર્ષનો આરંભ વર્તમાન શૈક્ષણિક વર્ષથી થઈ રહ્યો છે.