સોલાર ડ્રાયર કૃતિને દિલ્હી મોકલતા પહેલા કેવાડા, ચીંચવાડા, અટાર અને ભગોદમાં નિદર્શન માટે લઈ જવાઇ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૪: દેશમાં આઝાદીનો અમૃતકાળ અને G20ની ભારતની પ્રમુખતાના અનોખા સંગમ દરમ્યાન દેશભરમાં વિવિધ ઉમદા આનંદની અનુભૂતિ થઈ રહી છે. ભારત સરકારની અતિ મહત્વની યોજના ઉન્નત ભારત અભિયાન જેમાં ગ્રામોત્થાન થકી રાષ્ટ્ર ઉત્થાનના ઉમદા હેતુ સાથે દેશભરમાં વિવિધ ઉચ્ચ અને ટેકનિકલ સંસ્થાઓ સાથે મળીને કાર્યરત છે.
આ અંતર્ગત તા. ૧૭-૧૮ માર્ચ દરમ્યાન IIT દિલ્હી ખાતે ઉન્નતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સુભાષ સરકાર, યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ માટે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉન્નતિ માટે જુદી જુદી TECH4SEVAનું આયોજન થયુ હતું. જેમાં નવીનતમ ગ્રામ ઉપયોગી ટેકનોલોજીઓનું ડેવલપમેન્ટ અને નિદર્શનનું કાર્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા રાજ્યની રિજયોનલ કોર્ડીનેટિંગ ઇન્સ્ટિટયૂટસ મારફતે આઇઆઇટી દિલ્હીને મોકલવામાં આવ્યા હતા. જેમાં દેશભરમાંથી આવેલી એન્ટ્રીઓમાંથી ઉત્તમ પસંદગીની કૃતિઓને ઉન્નતિ મહોત્સવમાં IIT દિલ્હી ખાતે ટેકનોલોજી નિદર્શન માટે આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં દેશભરની વિવિધ આઈઆઈટી કક્ષાની 19, યુનિવર્સિટી કક્ષાની 13 અને NIT કક્ષાની 12 સંસ્થામાંથી પસંદગી પામેલી કૃતિઓમાં સરકારી ઇજનેરી કોલેજ વલસાડના કેમિકલ વિભાગના ફેકલ્ટી ડો. ભદ્રેશ સુદાણી અને ટીમ દ્વારા નિર્મિત કૃતિ સોલાર ડ્રાયરની પસંદગી થઇ છે.
ઉન્નત ભારત અભિયાન અંતર્ગત રાજ્યની વિવિધ સંસ્થાઓમાંથી પસંદગી પામેલા ફક્ત ત્રણ પ્રોજેક્ટમાં સરકારી કોલેજ વલસાડ, SVNIT સુરત અને અન્ય એક યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જે કોલેજ અને સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. આ માટે ઉન્નત ભારત અભિયાન વલસાડના કો-ઓર્ડીનેટર અને પ્રોજેક્ટના આઈડિયા ઇનોવેટર ડો. ભદ્રેશ આર. સુદાણી તેમજ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને TECH4SEVAમાં મોકલતા અગાઉ વલસાડ તાલુકાના વિવિધ ગામો જેવા કેવાડા, ચીંચવાડા, અટાર, ભગોદ, વગેરેમાં નિદર્શન માટે પણ લઈ જવામાં આવ્યો હતો. અને ગામ લોકોને તે અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી. જે માટે સંસ્થાના અનુભવી આચાર્ય ડો. વી.એસ. પુરાણી અને કેમિકલ વિભાગના વડા ડો. એન. એમ. પટેલ દ્વારા જરૂરી સપોર્ટ અને સતત માર્ગદર્શન તેમજ મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું.