(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.07: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા સાથે તાલુકાના સરકારી પ્રાથમિક શિક્ષણનો તાગ મેળવવા માટે રિયાલિટી ચેકકરતા ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. ‘‘તાલુકાની કેટલીક પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણની શાળામાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્યા હતા ત્યારે માત્ર એક જ શિક્ષક વહિવટી કાર્યની સાથો સાથ એક સાથે ચાર ધોરણના બાળકોના અભ્યાસને કેવી રીતે ન્યાય આપી શકશે” એનો ‘‘વર્તમાન પ્રવાહ”માં અહેવાલ પ્રસારિત થતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલુકામાં મહત્તમ વસ્તી એસટી, એસસી અને ઓબીસી સમાજની છે. જેઓ આર્થિક રીતે નબળા હોવાના કારણે એમના બાળકો સરકારી પ્રાથમિક શાળાઓ પર નિર્ભર હોય છે. હાલે તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં 100 જેટલા શિક્ષકોની ઘટ છે. એકથી પાંચ ધોરણની કેટલીક પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્યા છે. ત્યારે શું સરકાર પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણવા દેવા માંગતી નથી? અભણ રાખવા માંગે છે.? ત્યારે આ રીતે શિક્ષણ વ્યવસ્થામાં ઉભી કરવામાં આવેલી ખોટ સરકારી તંત્ર દ્વારા સુનિયોજિત ષડયંત્ર હોવાનું માલુમ થાય છે. જેથી એસટી, એસસી, ઓબીસી સમાજના બાળકોનો ભણતરનો પાયો કાચો રહે, આવનાર ભવિષ્ય માટે પગભર નહિ બને, જીવનભર મજૂરી કરીને એમનું જીવનપુરૂ થઈ જાય તેવા સરકારના આ અણધડ વહીવટને કારણે ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળે છે.
શિક્ષકોની ભરતી નહીં કરાશે તો આંદોલન કરાશેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ
હાલે શાળાનું નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયું છે. ત્યારે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવામાં આવે અને એક અઠવાડિયાના નિર્ધારિત સમયમાં બાકી રહેતા શિક્ષકોની ભરતી કરી વ્યવસ્થા પુરી પાડવામાં નહિ આવે તો બાળકોના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાનો માર્ગ અપનાવવા પડશે તેવી ચીમકી પણ કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.