તસવીર અહેવાલ- દિપક સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.27
સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે સારી કામગીરી માટે ફાળવેલ લાખો રૂપિયા તકલાદી કામના લીધે નહેરના પાણી સાથે જ લાખો રૂપિયા વહી ગયા હોવાની પ્રતીતિ થવાની સ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે અને પાણીનો બગાડ નહી થાય તે માટે સરકાર દ્વારા તબક્કાવાર લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે નહેરને સિમેન્ટ કોન્ક્રીટવાળી પાણીનીનહેર બનાવવામાં આવી રહી છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતોને લાભ થવાના સ્થાને માત્ર આ લાંચિયા અધિકારીઓ અને એજન્સીને જ થઈ રહ્યો છે.
ગણદેવી તાલુકાના કેસલી ગામેથી પસાર થતી માઇનોર કેનાલનું ટૂંકા સમયગાળામાં જ લાખો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયું હતું. આ કેનાલની કોન્ક્રીટની સપાટીમાં ટૂંકા સમય ગાળામાં જ ઠેર – ઠેર મોટી તિરાડો પડવા પામી છે. કેટલીક જગ્યાએ તો કોન્ક્રીટમાં રીતસરના બાંકોરા પડી જવા પામ્યા છે અને કપચી-રેતી બહાર જોવા મળી રહી છે.
ખરેખર સરકારના લાખો રૂપિયાનો આ રીત વેડફાટ થતો હોય તેવા સંજોગોમાં માપપોથીમાં માપની નોંધ કરનાર સુપર વિઝનના જવાબદાર મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ભય વિનાના ભ્રષ્ટાચારના શાસનમાં આવી કોઈ કાર્યવાહી થતી નથી. જેને પગલે લાંચિયા અધિકારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર આચરતા હોય એ નહેરનું કામ દ્વારા સમજાય છે. અંબિકા સબ ડિવિઝનના અધિકારી આવી બાબતે ગેરેન્ટી પિરિયડની કેસેટ વગાડી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે, ત્યારે સમગ્ર બાબતે તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.