April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

વિજયનગરના સામ્રાજ્‍યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્‍યો ન હતો. આ પરિસ્‍થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્‍કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં હિંદુઓ પર અત્‍યાચાર કરવામાં કોઈ મણા રાખી ન હતી તેમાંયે હિંદુઓનું ધર્માંતરણ કરાવવા માટે તેમનો વિશેષ પ્રયત્‍ન રહેતો

(..ગતાંકથી ચાલુ)
ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો. એક રીતે પોર્ટુગીઝો પરનું આ અપ્રત્‍યક્ષ આક્રમણ જ હતું. એટલે શરૂઆતમાં તો તેઓ આ માગણી સામે મક્કમ રહ્યા પરંતુ વારલી સરદારે તે પ્રદેશમાં અનેક મિલકતોને આગ લગાડીને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરતાં જ તેમને મજબૂરીથી તે હક માન્‍ય રાખવોપડયો.
ઈ.સ. 1670માં જ શિવાજી મહારાજે સુરત પર બીજી વાર ચઢાઈ કરી. પરંતુ આ વખતે ‘પોતાના પ્રદેશ’માંથી તેમને પસાર થવું પડયું એ એકમાત્ર કારણથી જ જવ્‍હારના રાજાને તેમની લૂંટમાં પોતાને પણ ભાગ મળવો જોઈએ એવી અપેક્ષા જાગી. શિવાજી મહારાજની શક્‍તિથી પૂર્ણ પરિચિત હોવાને લીધે તે સીધી રીતે તો આ માગણી કરી શક્‍યો નહીં પરંતુ પાછા ફરતી વખતે તેમના માર્ગમાં શક્‍ય તેટલી તમામ અડચણો ઉભી કરી. તેની આ કૃતિને કારણે શિવાજી મહારાજને સલામત રીતે પોતાના રાજ્‍યમાં પહોંચવા માટે સંઘર્ષ તો ઘણો કરવો પડયો પણ તેને લીધે જ આ પ્રદેશનું યુદ્ધવિષયક મહત્ત્વ તેમના ધ્‍યાનમાં આવી ગયું. ઉપરાંત જળગાંવ અને નાશિકની મોગલ છાવણીઓ પર હુમલો કરવા માટે પણ આ જગ્‍યા એકદમ મોકાની છે તે પણ તેઓ સમજી ગયા.
આ હેતુ મનમાં રાખીને ઈ.સ.1672માં તેમણે જવ્‍હાર અને રામનગર પર ચઢાઈ કરી. આ બેમાંથી એકેય પાસે શિવાજી મહારાજના સૈન્‍યનો સામનો કરવાની શક્‍તિ નહોતી, તેમ જ દમણ પર ચોથ વસૂલ કરવાના મામલે પોર્ટુગીઝો પણ જવ્‍હાર કે રામનગરને સહકાર આપવા કે મદદ આપવા રાજી ન હતા. તેથી આ બન્ને સ્‍થાનો પર સહેલાઈથી કબજો મેળવી શિવાજી મહારાજે પોતાના વિશ્વાસુ સહાયક મોરોપંત પિંગળેને ત્‍યાંનો વહિવટ સોંપ્‍યો. ઈ.સ. 1672માં જ રામનગરનારાણાએ રામનગર ફરી જીતી લેવાના હેતુથી પોર્ટુગીઝો સાથે સુલેહ કરી લીધી. તાત્‍કાલિક તો તેને આ સુલેહથી કોઈ લાભ ન થયો પરંતુ ઈ.સ. 1680માં શ્રી મોરોપંતના મૃત્‍યુના કારણે મરાઠા રાજ્‍યની પકડ થોડી ઢીલી થતાં જ તેણે પોતાનો પ્રદેશ પાછો મેળવી લીધો. એટલું જ નહીં તો જવ્‍હારના રાજાને પણ તેનો પ્રદેશ પાછો મેળવવામાં મદદ કરી. જવ્‍હારના રાજાને મદદ કરવામાં પણ એક રીતે તો તેનો સ્‍વાર્થ જ હતો. જવ્‍હાર પ્રદેશ રામનગર અને શિવાજી મહારાજના રાજ્‍યની વચમાં હોવાથી તેનો ઉપયોગ બફર રાજ્‍ય તરીકે થઈ શકે તેમ હતો. પરંતુ ઈ.સ. 1680માં શિવાજી મહારાજ અને ઈ.સ.1687માં સંભાજી મહારાજના નિધન પછીનો સમય મરાઠી રાજ્‍ય માટે અત્‍યંત વિકટ રહ્યો. ઈ.સ. 1707 સુધી મરાઠા રાજ્‍ય ઔરંગઝેબ સામેના યુદ્ધમાં એટલું જળાડૂબ રહ્યું કે જવ્‍હાર અને રામનગર જેવાં નાના સ્‍થાનો તરફ ધ્‍યાન આપવાનો તેમની પાસે સમય રહ્યો જ નહીં. આ તકનો રામનગરના રાણાએ પૂરો લાભ લીધો અને પોતાની સત્તાનો સમુદ્ર સુધી વિસ્‍તાર કર્યો.
બીજી બાજુ ઈ.સ. 1733 થી 1735 દરમિયાન પોર્ટુગીઝોએ વસઈ તરફ તેમનું ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું, અને વિદેશી આક્રમકોની ચીલાચાલુ રીત પ્રમાણે રાજ્‍ય વ્‍યવસ્‍થાને બદલે ધર્મના પ્રચાર-પ્રચારને જ મહત્ત્વનું કાર્ય ગણીને મુખ્‍યત્‍વે ધાર્મિક અત્‍યાચાર કરવાની શરૂઆત કરી.પોર્ટુગીઝ સૈનિકો સાથે અનેક કેથોલિક પાદરીઓ પણ ભારતમાં આવ્‍યા હતા. વિજયનગરના સામ્રાજ્‍યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્‍યો ન હતો. આ પરિસ્‍થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્‍કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં હિંદુઓ પર અત્‍યાચાર કરવામાં કોઈ મણા રાખી ન હતી. તેમાંયે હિંદુઓનું ધર્માંતરણ કરાવવા માટે તેમનો વિશેષ પ્રયત્‍ન રહેતો. સરળતાથી ખ્રિસ્‍તી ધર્મ ન સ્‍વીકારનારને લાચાર બનાવવા માટે તેઓ હિંદુ મંદિરો તોડતા, તેની જમીન-જાગીર માલમિલકત લૂંટી લેતા, નાનામોટા ખેડૂતો પાસેથી પણ જમીન આંચકી લઈને ખ્રિસ્‍તી ધર્મ સ્‍વીકારનારને આપી દેતા અને ત્‍યાંના ખેડૂતોને નિરાધાર બનાવી દેતા. પોર્ટુગીઝોના આ ધાર્મિક અત્‍યાચારની ફરિયાદ કરવા માટે સ્‍થાનિક આગેવાન ગણાજી નાઇક પુણે પહોંચ્‍યા. તે સમયે પેશ્વા પણ આ પ્રદેશ પર આક્રમણ કરવા માટે કોઈ યોગ્‍ય કારણની શોધમાં જ હતા. ઈ.સ. 1732માં પોર્ટુગીઝ અને મરાઠા રાજ્‍ય વચ્‍ચે પરસ્‍પર સહકાર માટે થયેલા કરારનો પોર્ટુગીઝો તરફથી અવારનવાર હેતૂપૂર્વક ભંગ થતો રહ્યો હતો. ઈ.સ. 1736માં આ કરારના આધારે એકબીજાની અડચણો અને મુશ્‍કેલીઓ સમજવા તથા તેની ચર્ચાવિચારણા કરવા માટે જે બેઠક થઈ તેમાં પણ વસઈના પોર્ટુગીઝ પ્રતિનિધિએ પેશવાને ઉદ્દેશીને ખૂબઅપમાનજનક શબ્‍દો કહ્યા હતા. આ વાત પેશવાના મનમાં ખૂંચતી હતી. ઉપરાંત ભિવંડી અને કલ્‍યાણના વેપારીઓને પણ વસઈમાં થાણાં સ્‍થાપવાની જરૂરિયાત હતી. આ બધી વાતો ધ્‍યાનમાં લઈને, ગણાજી નાઇકની ફરિયાદને આધારે બાજીરાવ પેશવાએ તેમના નાનાભાઈ ચિમાજી આપ્‍પાને વસઈ જીતવા મોકલ્‍યા.
આ યુદ્ધ 1737માં થયું. એક જ અઠવાડિયામાં મરાઠા સૈન્‍યે બાંદ્રા, વરસોવા, ઉરણ અને વસઈ પ્રદેશ જીતી લધા પરંતુ વસઈનો કિલ્લો તેમના હાથમાં આવ્‍યો નહીં. આ કિલ્લો જીતવાનો મરાઠાઓએ ઘણો પ્રયત્‍ન કર્યો પણ પોર્ટુગીઝોને સમુદ્રમાર્ગે ગોવા અને દમણ તરફથી સૈનિકો અને દારૂગોળાની મળતી મદદ અટકાવવાની ક્ષમતા તે સમયે મરાઠા સૈન્‍ય પાસે ન હોવાથી તેમાં તે સફળ થઈ શક્‍યા નહીં. આમાંથી કોઈ રસ્‍તો શોધવા બાજીરાવે બીજે મોરચે પોર્ટુગીઝોને હરાવીને તેમનું નામ દબાવવાના હેતુથી ગોવા અને દમણ પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમની આ યુક્‍તિ એકદમ સફળ રહી. પોર્ટુગીઝો પાસે ગોવામાં પૂરતું સૈન્‍ય ન હતું અને સ્‍થાનિક લોકોની મદદ પણ મરાઠાઓને મળતી હતી. તેથી મરાઠાઓએ રેચોલો, માર્માગોવા તથા ફોંડા પોર્ટુગીઝો પાસેથી જીતી લીધાં અને કુડાળના રામચંદ્ર સાવંતે પેશવાની મદદથી બારડોઝ થાણું જીતી લીધું. દમણ મોરચે પણ દમણની આસપાસનાં અનેક ગામો મરાઠાઓએ જીતીલીધાં અને બહારથી આવતો પુરવઠો ખેરવી નાખ્‍યો. આમ બન્ને બાજુથી માર ખાધા પછી પોર્ટુગીઝ થાકીને શરણે આવ્‍યા અને વસઈનો કિલ્લો મરાઠાઓને સોંપવા માટે કબૂલ થયા. બે વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધની સમાપ્તિ બે કરાર દિ. 6 મે 1739ના દિવસે વસઈમાં થયો. આ કરાર અનુસાર વસઈના કિલ્લા સહિત સંપૂર્ણ વસઈ પ્રદેશ તથા દમણની આસપાસનો પ્રદેશ મરાઠાઓ પાસે રહ્યો અને દમણ પોર્ટુગીઝ સરકાર પાસે રહ્યું. આ લડાઈમાં પાંચ હજાર મરાઠા અને ચાર હજાર પોર્ટુગીઝ સૈનિકો મરાયા. સેંટ એસ્‍ટેવા બુરજ પર છેલ્લી લડાઈ થઈ તે પછી ચર્ચમાં પોર્ટુગીઝોની સભા થઈ. તે સમયનું પોર્ટુગીઝ ગવર્નરનું ભાષણ યાદ રાખવા જેવું છે. તેણે કહ્યું હતું, ‘થોડા સમય માટે વસઈ છોડી દેવાની પરમપિતાની આજ્ઞા છે. આપણે પુનઃ અહીં આવવાના છીએ.’ ત્‍યાંથી નીકળતી વખતે પણ તેઓ ઢોલ નગારાં વગાડતા ગયા. આમ પરાજયમાં પણ તેમણે આક્રમક વૃત્તિ જાળવી રાખી હતી. આવી માનસિકતામાંથી જ રાષ્‍ટ્રો ઉભા થતાં હોય છે. જો કે પોર્ટુગીઝોને વસઈ ફરી ક્‍યારેય મળ્‍યું નહીં. ચિમાજી આપ્‍પાએ પણ પછી વસઈના કિલ્લામાં વજ્રેશ્વરી દેવી અને હનુમાનજીની સ્‍થાપના કરી. આમ આ આખું અભિયાન મરાઠાઓને મોંઘું તો પડયું પરંતુ આ લડાઈને લીધે જ પોર્ટુગીઝ અને બ્રિટિશ બન્નેને મરાઠી સેનાનાયુદ્ધકૌશલ્‍ય અને શક્‍તિનો પરિચય થયો.
બીજી બાજુ ઈ.સ. 1740 પછી અનેકવાર યુદ્ધ કરીને મરાઠાઓએ રામનગરના રાણાનો પણ પૂરેપૂરો પરાજય કર્યો. ત્‍યારથી નગર હવેલી પરગણું મરાઠા રાજ્‍યનો એક ભાગ બની ગયું જે ઈ.સ. 1779 સુધી તેમની પાસે રહ્યું. (ક્રમશઃ)

Related posts

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

Leave a Comment