-
દમણના માન્યતા પ્રાપ્ત પત્રકાર સતિષ શર્મા દ્વારા દાયર ક્રિમિનલ બદનક્ષીના કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટ દ્વારા અપાયેલો આદેશ
અત્યાર સુધી કોઈપણ પૂર્વ પ્રશાસકને નોન બેલેબલ વોરંટ જારી થયુંહોવાની દાનહ અને દમણ-દીવની બનેલી પ્રથમ ઘટના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 16: સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલ (આઈ.એ.એસ.-1988 બેચ) ઉપર ક્રિમિનલ બદનક્ષીના કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ દમણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરાયું છે. જેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશોના સનદી અધિકારીઓમાં પણ કુતુહલ સર્જાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ની કોર્ટમાં વર્ષ 2012માં માન્યતા પ્રાપ્ત પત્રકાર શ્રી સતિષ શર્માએ ક્રિમિનલ બદનક્ષીનો કેસ તત્કાલિન પ્રશાસક સત્ય ગોપાલ સામે દાખલ કર્યો હતો. આ કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન સત્ય ગોપાલને હાજર રહેવા માટે અનેક તક આપવામાં આવી હતી પરંતુ તેઓ કોર્ટમાં આવવાનું યેનકેન રીતે ટાળતા હતા.
ક્રિમિનલ બદનક્ષી કેસના આરોપી સત્ય ગોપાલે અનેક વખત જુદા જુદા બહાના બતાવી અથવા ન્યાયાલયમાં મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરી ન્યાયિક કાર્યવાહીથી બચતા રહ્યા હતા. જેના કારણે ગત તારીખ ઉપર વિદ્વાન ન્યાયાધિશ શ્રી જે.જે.ઈનામદારે તેમને છેલ્લી તક આપી 16મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે સત્ય ગોપાલના વકિલને નિર્દેશ આપ્યો હતો. પરંતુ ફરી આજે પણ મેડિકલ સર્ટીફિકેટરજૂ કરી કોર્ટમાં હાજર નહીં થતાં જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) શ્રી જે.જે.ઈનામદારે પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલની ધરપકડ માટે ગેર જમાનતી વોરંટ(નોન બેલેબલ વોરંટ) જારી કર્યું છે.
કોઈપણ પૂર્વ પ્રશાસકને નોન બેલેબલ વોરંટ જારી થયો હોવાની દાદરા નગર હવેલી અને દમણ-દીવની પ્રથમ ઘટના છે.