અટલજી આપણા દરેકના પ્રેરણાસ્ત્રોત : સાંસદ લાલુભાઈ પટેલઅટલજીની કર્તવ્ય નિષ્ઠા, રાષ્ટ્રના પ્રત્યે સમર્પણ અને સંગઠનને સશક્ત
બનાવવા ભજવેલી ભૂમિકા આપણા માટે હંમેશા પ્રેરક રહેશે :
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્નસ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે કરી હતી. દમણના પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં આયોજીત કાર્યક્રમમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી બી.એમ. માછી અને શ્રી બાબુભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કરી શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અટલજી આપણા દરેક માટે હંમેશા પ્રેરણાનાસ્ત્રોત રહેશે. તેઓ જીવંત પર્યંત એક સશક્ત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લઈને ચાલ્યા અને તે માટે પ્રયાસરત પણ રહ્યા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, તેમણે દેશમાં વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પને સાકાર કર્યો છે. પોતાના કાર્યકાળમાં સંરક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની એક મજબૂત ઓળખ વિશ્વપટલપર સ્થાપિત કરી. અટલજીની કર્તવ્ય નિષ્ઠા, રાષ્ટ્રના પ્રત્યે સમર્પણ અને સંગઠનને સશક્ત બનાવવામાં તેમની ભૂમિકા આપણા માટે હંમેશા પ્રેરક છે તેવા અદ્વિતીય રાષ્ટ્રભક્ત શ્રદ્ધેય અટલજીને કોટિ કોટિ નમન પણ કર્યા હતા.