દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાઉન્સિલર મુકેશભાઈ પટેલે સમગ્ર ષડ્યંત્રની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપેલી જાણકારી
રાધા માધવ કોર્પોરેશને એનસીએલટીના અધિકારીઓને પટાવી પોતાની મિકલતનું ઓછું મૂલ્યાંકન કરાવી બીજાના નામે ખરીદવા રચેલો તખ્તો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14
રાધામાધવ કોર્પોરેશન લિ.ના કર્તાહર્તા અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલે રોકાણકારો, વેપારીઓ અને ડિફોલ્ટર્સને રૂા. પ33 કરોડ રૂપિયા ચૂકવવાના મુદ્દે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ(એનસીએલટી) દ્વારા સમાધાન કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં, અગ્રવાલ પિતા-પુત્રએ એવી રમત રમી છે જે સાંભળીને અચ્છા અચ્છાની ઉંઘ ઉડી જાય એમ છે.
મળતી માહિતી અનુસાર અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા નિયુક્ત અધિકારીઓની સાથે મળીને તેમની 533 કરોડની બાકી રકમની સામે પોતાની ઓછી કિમંતની 250 કરોડની રકમની સંપત્તિનું વેલ્યુએશન કરાવી ર0-રર કરોડ રૂપિયા કરાવી દીધા છે, એટલું જ નહીં, તેમણે આ સંપત્તિ ખરીદવા માટે પોતાના જ બનાવટી લોકોને ખરીદદારો બનાવી, નેશનલ કંપનીલો ટ્રિબ્યુનલ સમક્ષ તેમને ઉભા કર્યા હતા. રાધામાધવ કોર્પોરેશન લિ.ના આ ષડયંત્રની જાણ થતાં જ દમણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાઉન્સિલર શ્રી મુકેશ પટેલે આ સમગ્ર કૌભાંડ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કચેરીએ લેખિત ફરિયાદ કરી જાણકારી આપી છે.
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્રમાં શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યા અનુસાર, દેશના લાખો સામાન્ય નાગરિકો પાસેથી મૂડી યોજનાઓ અને ચીટ ફંડના નામે રૂા.20000 કરોડ હડપી લેનારા રાધામાધવ કોર્પોરેશન લિ. દમણ અને ઉત્તરાખંડમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા નિયુક્ત અધિકારીઓની સાથે મળીને રાધામાધવ કોર્પોરેશન લિ.ની 250 કરોડની સંપત્તિનું મૂલ્ય ફક્ત 20-22 કરોડ રૂપિયાની સંપત્તિ તરીકે વેલ્યુએશન કરાવ્યું છે. રાધામાધવ કોર્પોરેશન લિ. આ તમામ મિલકતો માટે ડમી ખરીદદારો પણ ઉભા કરવામાં આવ્યા છે.
પત્રમાં શ્રી મુકેશ પટેલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા નિયુક્ત અધિકારીઓ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા કરી નહી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. શ્રી મુકેશ પટેલે વડાપ્રધાન કચેરીમાંથી માંગ કરી છે કે આ સમગ્ર પ્રક્રિયાને રદ કર્યા પછી પારદર્શક રીતે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ રાધામાધવ કોર્પોરેશન લિ.મિલકતની કિંમત 250 કરોડથી વધુ મળી શકશે.