April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

વર્ષ ૨૦૦૯માં ખોબા ગામમાં આવેલો વ્યક્તિ અત્યારના ખોબા ગામમાં આવે તો તેને ચોક્કસ એમ લાગશે કે તે ક્યાંક ભુલો તો નથી પડ્યો ને એટલી સુવિધા ઉપલબ્ધ છે

ગ્રામજનો સ્થળાંતર ન કરે તે માટે ઢોળાવવાળી જમીન પર પથ્થરોની પાળ બાંધવાની યુક્તિ અજમાવી લોકોને ખેતીથી આત્મનિર્ભર બનાવ્યા

એમ.એ. અને એમ.ફિલની ઉચ્ચ ડિગ્રી મેળવનાર નિલમ પટેલ લાખોના પેકેજની નોકરી મેળવી શક્યા હોત પણ તેમણે પોતાનું જીવન આદિવાસીઓના વિકાસ માટે સમર્પિત કરી દીધુ

(ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અવારનવાર કહે છે કે, આપણો દેશ સૌથી યુવાન દેશ છે. યુવાઓમાં અપાર શક્તિ છે. એક યુવાન ધારે તે કરી શકે છે, એક ભણેલો સો ને ભણાવે જેવી કહેવતો આપણે સાંભળીએ છે પરંતુ આ વાતને હકીકતમાં વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના વતની અને હાલમાં ધરમપુરના ખોબા ગામને વિકસિત ગામની ઓળખ આપનાર નિલમભાઈ પટેલે સાર્થક કરી યુવાધનને નવી દિશા આપી છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એ. અને એમ.ફિલની ઉચ્ચ ડિગ્રી મેળવી નિલમભાઈ સરકારી ખાતામાં અધિકારી તરીકે અથવા તો કોર્પોરેટ કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની નોકરી કરી શકયા હોત પરંતુ કંઈક અલગ જ કરવાની ભાવના અને ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને નિલમભાઈ ગ્રામ શિલ્પી બન્યા અને ધરમપુર તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ખોબા ગામમાં સેવા કાર્યોની ધૂણી ધખાવી જે આજપર્યંત ઝળહળી રહી છે. માત્ર ૧૦ જ વર્ષમાં તેમણે ખોબા ગામની કાયાપલટ કરી નાંખી છે. તો વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આવો જાણીએ કે, એક આદિવાસી યુવાને ખોબા ગામ અને તેની આસપાસના ગામોમાં વસતા હજારો આદિવાસીઓનું જીવન કેવી રીતે સમૃધ્ધ બનાવ્યું, સફળતાના શિખર સુધી પહોંચવામાં કેટલી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો તેની કહાની તેમના જ શબ્દોમાં….


હું સૌ પ્રથમ જ્યારે આ ગામમાં આવ્યો હતો ત્યારે ગામના લોકોને શરૂઆતમાં એમ જ લાગતું કે, આ વળી આપણા ગામમાં શું સુધારા કરવાનો. કેટલાક તો એમ પણ કહેતા કે, આટલું ભણ્યા પછી શું આવુ સાવ બાવા જેવું જીવન જીવવાનું, પરંતુ કોઈની વાતથી માઠુ ન લગાવી સેવાકીય પ્રવૃતિ ચાલુ રાખી. શરૂઆત ૨૦૦૭માં ગ્રામ શિલ્પી યોજનાથી કરી, એક વર્ષ ગુંદિયા ગામમાં કામ કર્યું પરંતુ એ ગામ રસ્તા પરનું અને થોડી ઘણી સુવિધાઓ હતી, એટલે હું ૨૦૦૮ માં ખોબા ગામ પહોંચ્યો ત્યાં એક વર્ષ કામ કર્યા બાદ બીજા પણ સેવાકીય કામો કરવા હતા એના માટે આર્થિક સહાયની જરૂર જણાઈ પરંતુ એના માટે ટ્રસ્ટ રજીસ્ટર હોય તો દાતાઓ દ્વારા દાન મળે એ ન હતું એટલે વિચાર આવ્યો કે, એક ટ્રસ્ટ બનાવું પછી જ અન્ય સેવાકીય કાર્યો થઈ શકશે. એટલે તા. ૧૫ જુલાઈ ૨૦૦૯ના રોજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી ગામમાં શિક્ષણક્ષેત્રે પાયો નાંખવા લોક મંગલમ વિદ્યાપીઠની પણ સ્થાપના કરી, એક સરસ મજાનું પુસ્તકાલય પણ બનાવ્યું, ત્યાર બાદ ખેતી કાર્યો હાથ ધર્યા, ખોબા ગામના લોકોને ફળની વાવણી, છોડનું વાવેતર, શાકભાજી ઉગાડવા,જળ, જંગલ, જમીન બચાવ માટે વૃક્ષારોપણ, તળાવ – કૂવાનું ખોદકામ, ચેક ડેમનું બાંધકામ, બોરવેલ- કૂવાનું રિચાર્જકામ, વગેરે કાર્યોમાં લોકોને જોડ્યા, જેથી તેઓ ગામમાં જ રહીને આર્થિક રીતે પગભર થાય એવો ધ્યેય હતો. આ કાર્ય કરવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી કારણ કે,અહીંની જમીન ઢોળાવવાળી હોવાથી ખેતી કરે અને વરસાદ આવે એટલે જમીનનું ઘોવાણ થઈને જમીનની માટી નીચે આવી જાય, તે માટે ઢોળાવવાળી જમીન પર પથ્થરોની પાળ બાંધવાની યુક્તિ અજમાવી, જેથી કરીને જ્યારે વરસાદ આવે અને જમીનનું ઘોવાણ થાય ત્યારે માટી નીચે આવીને પથ્થરની પાળ પર અટકી જાય અને દિવસો જતા આ ઢોળાવવાળી જમીન સમતલ થવા લાગી, અને ત્યાં હવે સફળ ખેતી થાય છે. ગામમાં પાણીની મુશ્કેલી પહેલાથી હતી, જેથી ચેક ડેમ બંધાવતા વસાદનું પાણી સંગ્રહ થાય છે, જે વર્ષ દરમિયાન ગામના લોકો ઉપયોગ કરી શકે છે. હવે ગામમાં બારેમાસ પાણી પુરતા પ્રમાણમાં મળી રહે છે. ખોબા ગામમાં આરોગ્યની સુવિધા માટે માત્ર એક કે બે રૂપિયાની નજીવી કિંમતે દવાખાનામાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવે છે. અંધારામાં રહેતા ગ્રામજનોના જીવનમાં અજવાળુ પાથરવા ગામમાં વિજળી લાવવામાં સફળતા મળી. આ તમામ સેવાના કાર્યો મિત્રોના સાથ સંગાથથી આગળ વધ્યા છે. વિકાસના પંથે ચાલતા ૧ એકર જમીન પણ દાનમાં મળી, જયાં ગામની મદદથી નવું મકાન બાંધ્યું છે. આ મકાનની ખાસિયત એ છે કે આ મકાનમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા લાકડા ગામના એક-એક ઘરમાંથી આવ્યા છે.


વર્ષ ૨૦૦૯થી લઈને વર્ષ ૨૦૧૯ સુઘીમાં ખોબા ગામની શકલ સંપૂર્ણ બદલાય ચૂકી છે, જો કોઈ વ્યક્તિ ૨૦૦૯માં ખોબા આવ્યો હોય અને હવે પ્રવેશ કરે તો કદાચ તેને એમ ચોક્કસ લાગશે કે તે ક્યાંક ભુલો તો નથી પડ્યો ને. જ્યાં લોકો પીવાના પાણીના પણ વલખા મારતા હતા, ત્યાં આજે બારેમાસ ચોખ્ખુ પીવાનું પાણી મળે છે. જ્યાં લોકો એક સમયમાં શિક્ષણથી વંચિત હતા, ત્યાં આજે બાળકો પુસ્તકાલયમાં વાંચતા નજરે પડે છે, જ્યા એક સમયે છતી જમીને ખેતી નહોતી થઈ શકતી ત્યાં ખેતી કરી ગામના લોકો સ્વનિર્ભર બન્યા છે. મારી સાથે અનેક લોકો હવે સમાજ કાર્યોમાં જોડાયા છે. વર્ષોના સંઘર્ષ અને જાત મહેનત સાથે ખોબા જેવડા ખોબા ગામને અનેક સુવિધાઓથી સજ્જ કરી સમગ્ર ગામને પગભર કરવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, આ માત્ર એક બે વર્ષની મહેનત નથી, પરંતુ નિલમભાઈએ પોતે ઘસાઈને બીજાને ઊજળા કર્યા તેની મહેનતનું પરિણામ છે. હાલ તેમના ગ્રામ વિકાસના કાર્યોની મહેક ધરમપુરના ૧૦૮ ગામમાં પ્રસરતા લોકો સ્વયંભૂ તેમના સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે.

ધો. ૯ થી ૧૨ સુધીના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે શિક્ષણ મેળવે છે

શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર નિલમભાઈ ખોબા ગામમાં કુમાર છાત્રાલયનું સરકારી સહાય વગર લોક ભાગીદારીથી સંચાલન કરે છે. માનવ છાંયડો ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ધરમપુરના કેળવણી ગામે જ્ઞાન ગંગોત્રી વિદ્યાલય અને બામટી ગામે જ્ઞાન સરિતા વિદ્યાલય તેમજ ખટાણા ગામે જ્ઞાન સાગર વિદ્યાલયના સંચાલનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ ત્રણ સ્કૂલો નોનગ્રાન્ટેડ હોવા છતાં ધો. ૯ થી ૧૨ સુધીના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે.

ગામમાં જ રોજગારી ઉભી કરવા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરી

નિલમભાઈ અનેક સહયોગીઓની મદદથી એમ્બ્યુલન્સ સેવા, મોબાઇલ ડીસ્પેન્સરી, આઈ કેમ્પ, મેડિકલ કેમ્પ, આરોગ્ય સહાય, યુવાનો-મહિલાઓ અને બાળ વિકાસ-કલ્યાણકારી પ્રવૃત્તિઓ, ખેડુતોને સઘ્ઘર બનાવવા માટે ઓજાર બેન્ક, સંજીવ ખેતીનું માર્ગદર્શન, ખાતર-બિયારણની સહાય, ફળાઉ છોડનું વિતરણ, સરકારી યોજનાનો પ્રચાર પ્રસાર કરતુ માહિતી કેન્દ્ર, પશુપાલન, મહુડાના ઝાડના બીજમાંથી તેલ પીલવાની ઘાણી, નાની રાઈસ મિલ અને ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર આંગણે રોજગારી ઉભી કરી સ્વનિર્ભર થવાની દિશા આપી છે. આ સિવાય વ્યસનમુક્તિ, પ્લાસ્ટિક નાબૂદ, પોક્સો એકટની માહિતી, આરટીઈ અને આરટીઆઇ માટે અનેક શિબિર અને પ્રદર્શનનું આયોજન વખતોવખત થાય છે.

આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેકવિધ એવોર્ડ પણ મળ્યા

આદિવાસી સમાજ કલ્યાણની બહુવિધ પ્રવૃત્તિઓ માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ તરફથી નિલમભાઈને સંખ્યાબંઘ એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત થયા છે. જેમાં મુખ્યત્વે તા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રવિ.આર.ત્રિપાઠીના હસ્તે મળેલો જાગૃત જન એવોર્ડ, વર્ષ ૨૦૧૬માં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે મળેલો ગાંધી મિત્ર એવોર્ડ, તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે મળેલો ધરતી રત્ન એવોર્ડ, તા.૧-૧-૨૦૧૮ના રોજ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મળેલો મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા પુરસ્કાર, તા. ૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ દિલ્હીમાં છત્તીસગઢના પૂર્વ રાજ્યપાલ શ્રીશેખર દત્તના હસ્તે મળેલો ભારત જ્યોતિ એવોર્ડ અને વર્ષ ૨૦૨૦માં ગાંધીયન સોસાયટી યુએસએ દ્વારા મળેલા સેવા પુરસ્કારનો સમાવેશ થાય છે.

Related posts

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment