કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શોભાવશેઃ મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 16: ભારતીય પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન 17મી સપ્ટેમ્બર, 2022ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજના સભાખંડમાં કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે.
આવતી કાલે ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા’ યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી વિવિધયોજનાઓ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત શરૂ કરેલી સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે પણ ચિતાર રજૂ કરાશે.
આવતી કાલે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત સર્કલ પોસ્ટ વિભાગના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી જીતેન્દ્ર ગુપ્તા, દક્ષિણ ગુજરાત વિસ્તારના પોસ્ટ માસ્ટર જનરલ શ્રીમતી પ્રીતિ અગ્રવાલ, દક્ષિણ ગુજરાત વિસ્તારના ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ ડો. એસ.શિવરામ તથા દક્ષિણ ગુજરાત રિજિયનના અન્ય અધિકારીઓ અને પોસ્ટ વિભાગના કર્મીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.