આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરો :
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાંધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહમાં પીએમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે સરકાર દ્વારા આદિમજૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન હેઠળ યોજનાકીય લાભો લેવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિશ્રીએ આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે પી.એમ. જનમન પહેલ અને તેના થકી પ્રાપ્ત યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓને પૃચ્છા કરી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 1 કરોડથી વધુ આદિવાસી બંધુઓ છે, જેમાંથી દોઢ લાખ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ત્યારે અહીં ઉપસ્થિત અદિમજૂથમાંથી કેટલા લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, મેટ્રિક અને નોન મેટ્રિક પાસ છે તેમજ કેટલા લોકો નોકરી કરે છે, રાજકારણમાં છે તે અંગે પૃચ્છા કરી જણાવ્યું કે, સરકાર આવાસ, પાણી, વીજળી, સ્કૂલ, દવાખાના સહિતની બધી જ સુવિધા આપવા તૈયાર છે, ત્યારે તમારે પણજાગૃતિ દાખવવાની જરૂર છે. કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે જાગૃત બનવાનું છે. તમારે તમારા બાળકોને ભણાવવાના છે, શિક્ષિત બનાવવાના છે.
તેમણે ઉમેર્યું કે, આર્થિક વિકાસ માટે સશક્ત બનવા સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. સ્કીલથી જ આત્મનિર્ભર બની શકાશે. આપણે એટલા સક્ષમ બનવું જોઈએ કે કોઈના પર નિર્ભર ન રહીએ. સરકાર વ્યાજ વગરની લોન આપે છે, તમારે વિચાર કરવાનો છે કે, હં્ શું કંઈક નવું કરી શકું. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે અને સશક્ત ભારતનું નિર્માણ થશે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વનું છે. વધુમાં રાષ્ટ્રપતિશ્રી એ હું તમારા બધામાંથી જ એક છું એમ કહી જણાવ્યું કે, ‘‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ”નો નારો હું સફળ થતો જોઈ રહી છું.
આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે પીએમ જન મન અભિયાન શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશને વિકસિત ભારતમાં પરિવર્તિત કરવા માટે સંકલ્પ લીધો છે. જે માટે પીએમ જન-મન મહાઅભિયાન તરીકેશરૂ કરાયું છે. આદિવાસીઓના કલ્યાણ માટે બજેટ છ ગણું વધારાયું છે. આ અભિયાન થકી સરકાર ખુદ આદિવાસી ભાઈઓ બહેનોના ઘર સુધી પહોંચી છે. આપણે ‘‘જન મન” ગાઈએ છીએ ત્યારે ભારતનું જન-મન આ અભિયાનથી વાસ્તવમાં જાગી ઉઠશે. લોકોના ચહેરા પર મુસ્કાન એ જ સફળતાનું પ્રમાણપત્ર છે.
રાજ્યના આદિજાતિ વિભાગના અગ્ર સચિવ ડો.એસ. મુરલીક્રિષ્નને પીએમ જન મન અભિયાન હેઠળ રાજ્યમાં થયેલી કામગીરીની રુપરેખા આપી હતી.
આદિવાસી સંસ્કળતિની ઝાંખી કરાવતા વારલી પેઇન્ટિંગથી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીનું અભિવાદન કરાયું હતું. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લાના આદિમ જૂથના કોટવાળિયા/ કોલચા-કોલધા, કાથોડી, પઢાર અને સીદી સમુદાયના કુલ 220 લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ સંવાદ કર્યો હતો. તેમની સાથે આ સંવાદ કાર્યક્રમમાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.