અયોધ્યાથી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સામુહિક રીતે જીવંત પ્રસારણ નિહાળવાની સાથે રામધૂનથી ગાજી ઉઠેલો સમગ્ર વિસ્તાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ 200 વર્ષ કરતા વધુના પ્રાચીન સ્વયંભૂ પ્રગટ સોપાની માતાના મંદિરના પટાંગણમાં શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અયોધ્યાથી શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સામુહિક રીતે નિહાળવામાં આવ્યું હતું.
સોપાની માતા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુંહતું. પ્રારંભમાં કળશયાત્રા પણ કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામવાસીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યને પણ સાંભળ્યું હતું. આ કાર્યક્રમમાં અબાલ-વૃદ્ધ, યુવાન, મહિલા સહિત ઘર પરિવારના લગભગ તમામ સભ્યોએ હાજરી આપી શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા.