(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના તલાવચોરા બારોલીયા પીપળા ફળીયાના ખેડૂત ખાતેદાર મહેશભાઈ પટેલ દ્વારા તેમનાં ખેતરમાં 3-મહિના અગાઉ હળદર અને સૂરણનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાદ તેના ઉપર ખાતરઅને દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂંડે તેમના હળદરના પાકને ખેદાન-મેદાન કરી નુંકસાન પહોંચાડતા ખેડૂત મહેશભાઈ પટેલને હળદર પાછળ કરેલ બિયારણ, ખાતર, દવા, મજૂરીનો ખર્ચ પણ માથે પડતા હાલત કફોડી થવા સાથે વર્ષ પણ બગાડવા પામ્યું હતું.
ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં હળદર, સુરણ, કંદ સહિતના ખેતી પાકોની ખેતી કરતા આવ્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી હળદર, સુરણ અને કંદ પોષણક્ષમ ભાવ મળતા મોટે ભાગના ખેડૂતો ખેતી કરી રહ્યા છે.
ચીખલી તાલુકાના તલાવચોરા બારોલીયા ખાતે રહેતા ખેડૂત મહેશભાઈ મગનભાઈ પટેલ દ્વારા ઘરની નજીક આવેલ 1.25 વીધા ખેતરમાં હળદર અને સુરણનું વાવેતર 3-મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. અને તેની પાછળ ખાતર, પાણી, દવા, મજૂરી પાછળ હજ્જારો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરવામાં આવ્યો હતો. હળદર અને સુરણના વાવેતર કર્યાના ત્રણ માસ જેટલો સમયગાળો પસાર થઈ જતા હળદરનો પાક ત્રણ ફૂટ જેટલી ઊંચાઇના પીલા પણ નીકળી આવ્યા હતા. ચાલુ વર્ષે હળદર અને કંદનો પાક સારો થયો હોય ઉતારો પણ સારો ઉતારવાની આશા ખેડૂત મહેશભાઈ પટેલ સેવી રહ્યાહતા.
દરમ્યાન 16-જૂનની રાત્રીના સમયે હળદરના અડધા વીઘા જેટલા ખેતર માટે પાંચ વાસા જેટલી જમીનમાં હળદરના ત્રણ ફૂટ સુધી તૈયાર થયેલ પાકને ભૂંડના ટોળાએ નુકશાન કરતા ખેડૂતે પાકના ઉછેર પાછળ કરેલ ખર્ચ માથે પડવા પામ્યો છે. અને નવેસરથી હળદરનું બિયારણ શોધી વાવેતર કરવાની ફરજ પડી છે. પરંતુ હાલ બિયારણ શોધવા છતાં કયાંય મળતું નથી. જેથી આખું વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે વન વિભાગ દ્વારા ભૂંડના ટોળાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ પણ જરૂરી છે.
તલાવચોરાના બારોલીયા-પીપળા ફળિયાના ખેડૂત મહેશભાઈ પટેલના જણાવ્યાનુસાર ચાલુ વર્ષે 18 માર્ચના રોજ ઘરથી 0.50 કિલોમીટર અંતર દૂર આવેલા 1.25 વીઘા જેટલી જમીનમાં હળદર અને સુરણનું વાવેતર કર્યું હતું. અને ત્યારબાદ તેને નિયમિત સિંચાઈનું પાણી, ખાતર, દવાનો છંટકાવ પણ કરાયો હતો. વાવેતર કર્યાને ત્રણ માસ જેટલો સમય થતાં હળદર ત્રણ ફૂટ જેટલી થઈ જવા પામી હતી. અને ચાલુ વર્ષે હળદર અને કંદનો પાક સારો ઉતરવાની આશા હતી. તેવા સમયે જ ભૂંડના ટોળાએ હળદરના પાકને નુકસાન પહોંચાડતા તેની પાછળ કરેલ અત્યાર સુધીનો ખર્ચ પણ માથે પડવા પામ્યો છે. અને નવેસરથી હળદરનું બિયારણશોધી વાવેતર કરવાની ફરજ પડી છે. પરંતુ હાલ બિયારણ શોધવા છતાં કયાંય મળતું નથી. જેથી આખું વર્ષ બગડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. વન વિભાગ દ્વારા ભૂંડના ટોળાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ પણ જરૂરી છે.
—-