કોંગ્રેસ હંમેશા ગરીબોની પાર્ટી રહી છે, આદિવાસી સમાજના ઉત્થાન કલ્યાણ માટે કોંગ્રેસની સરકારે જે કામો કર્યા છે તેના ઉપર વર્તમાન સરકારે લગાવેલો વિરામઃ મહેશ શર્મા – દાનહ કોંગ્રેસ પ્રમુખ
દાનહના પૂર્વ સાંસદ અને ગરીબોના પ્રિય આદિવાસી નેતા રહેલા સ્વ. રામજીભાઈ માહલાના સુપુત્ર અજીત માહલાએ કોંગ્રેસ પ્રત્યે બતાવેલી સક્રિયતાથી લોકસભા ચૂંટણીમાં સમીકરણો બદલાવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : આગામી લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા પોતાના જનાધારને વધારવા સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. જેની કડીમાં રવિવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્વમાં દાનહના દૂધની નજીક કૌંચા ખાતે સેંકડો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૌંચા ખાતે બેઠકના આયોજનમાં દાનહના પૂર્વ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ સ્વ. રામજીભાઈ માહલાના સુપુત્ર શ્રી અજીતભાઈ માહલાએ કરતા રાજકીય ગતિવિધિ તેજ બનવા પામી છે. કારણ કે, સ્વ. રામજીભાઈ માહલા કોંગ્રેસના એક સંનિષ્ઠસેવક હોવાની સાથે પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરના પણ ઘનિષ્ઠ ટેકેદાર હતા.
આ પ્રસંગે દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગરીબોની પાર્ટી રહી છે, આદિવાસી સમાજના ઉત્થાન કલ્યાણ માટે કોંગ્રેસની સરકારે જે કામો કર્યા છે તેના ઉપર હવે વિરામ લગાવાયું છે. પ્રદેશમાં આદિવાસી અનામતની ટકાવારી ઘટાડીને 7 ટકા રાખવામાં આવી છે. સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં રોજગારી મળતી નથી. સરકારી નોકરીઓ બંધ કરવામાં આવી છે. સેંકડો શિક્ષક અને સરકારી કર્મચારીઓને બેરોજગાર કરાયા છે. કોંગ્રેસની સરકાર આવશે તો આ દરેકની સાથે ન્યાય થશે. કૌંચાની મીટિંગમાં સેંકડો લોકોની સાથે યુવા શક્તિએ પણ ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લેતાં દાદરા નગર હવેલીમાં કોંગ્રેસનો જુસ્સો બળવત્તર બન્યો છે. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી સુધી દરેક બૂથ ઉપર કાર્યકર્તાઓ સાથે બેઠક કરી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે તૈયારીમાં લાગી ગઈ છે.
આ કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી વિક્રમસિંહ પરમાર, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, ગત લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડી તથા શિક્ષિત યુવા આદિવાસી નેતાશ્રી અજીત માહલાએ દેશ અને પ્રદેશની વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા કરતાં બેરોજગારી, મોંઘવારી, જંગલ, જમીન અને આદિવાસી સમાજના લોકોની બગડેલી સ્થિતિની બાબતમાં લોકોને જાણકારી આપી હતી.