સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થતી ખાડીના ઉપરના ભાગમાં વારંવાર માછલીઓ મરવાની બનતી ઘટના પાછળના જવાબદારોને શોધવા જરૂરીઃ હવે ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોએ જ પોતાના આરોગ્યના રક્ષણ માટે જાગૃત બનવું પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઇડીસીનુ હાર્દ ગણાતું કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં સરીગામ ક્લીન ઈન્સેટિવ રજીસ્ટરકંપની દ્વારા સંચાલિત છે. આ કંપનીમાં છ ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રથમ ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર તરીકે શ્રી ઋષિ શૈલેષભાઈ કંસારા જેમની નિમણૂક પત્રાંક નંબર માહિતી સુરત/1676/2019 થી કરવામાં આવેલી ત્યારબાદ નોમીની ડાયરેક્ટર શ્રી શિરીષભાઈ બળવંતરાય દેસાઈ, ડાયરેક્ટરશ્રી ભરતકુમાર પોપટલાલ જૈન, ડાયરેક્ટરશ્રી અંજલિ કિરણ ખામ્બતે, ડાયરેક્ટરશ્રી રમેશભાઈ ધનજીભાઈ ભાગોરા અને નોમીની ડાયરેક્ટરશ્રી નિર્મલકુમાર દુધાની જે હાલમાં એસઆઇએના પ્રમુખ છે. આ ડાયરેક્ટરો દ્વારા સરીગામ જીઆઇડીસીનું હાર્દ ગણાતી સીઈટીપી ઉપર સંપૂર્ણ વહીવટ ઉપર અંકુશ અને સંચાલન કરી રહ્યા છે. આ ડાયરેક્ટરનો ઉદ્દેશ ઉદ્યોગો અને પ્રજાના હિતમાં હોવો જરૂરી છે.
સરીગામ સીઇટીપીનો મુખ્ય ઉદ્દેશ જલ પ્રદૂષણ ઉપર અંકુશ મુકવાનો છે. નારગોલ પારસી ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં પ્રદૂષણના મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં આવેલી તપાસમાં સરીગામની ફેક્ટરીઓ દોષિત હોવાનું સામે આવ્યું હતું અને સીઈટીપી નિર્માણ કરી કાર્યરત કરવાના પાયા ઉપર કંપનીઓને ફરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ રીવોક કરવામાં આવ્યું હતું
સરીગામમાં કાર્યરત એકમો નીતિનિયમનું ચોક્કસપણે પાલન કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. પરંતુ હાલમાંતડગામના દરિયા કિનારે જ્યાં પાણીને પાઇપલાઇન દ્વારા છોડવામાં આવે છે ત્યાં પ્રદૂષણની બુમરાણ કેમ મચેલી છે જે તપાસનો વિષય છે. આ ઉપરાંત સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી ખાડીના ઉપરના ભાગમાં વારંવાર માછલીઓ મરવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. આ સમસ્યા ઉપર અંકુશ મુકવા માટે ઉમરગામ તાલુકાની ખાસ કરીને કાંઠા વિસ્તારની પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.