પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કુશળ અને સમયબધ્ધ વિકાસ માટે સંસદ રાજ્ય વિધાનસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની વચ્ચે બહેતર સમન્વય સુનિશ્ચિત કરવા દિશા સમિતિનું કરેલું ગઠન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : આજે સેલવાસના સચિવાલય સભાખંડમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમીટિ(દિશા)ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા સહિત અધિકારીઓ અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તથા દિશા કમીટિના સભ્યો તેમજ સિવિલ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુશળ અને સમયબધ્ધ વિકાસ માટે સંસદ રાજ્ય વિધાનસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની વચ્ચે બહેતર સમન્વય સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વિકાસ સમન્વય અનેદેખરેખ સમિતિ (દિશા)નું ગઠન કરવામાં આવ્યું છે.
આજે મળેલી દિશા સમિતિની બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. દિશા અંતર્ગત આવતી 43 સ્કીમના અસરકારક કાર્યાન્વયન માટે થયેલ પ્રગતિની જાણકારી મેળવવામાં આવી હતી. ગ્રામીણ સડક યોજના, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, ઊર્જા, શિક્ષણ, કૃષિ, રોજગાર, પોષણ અભિયાન, પેન્શન, રાશનકાર્ડ, મનરેગા, સ્માર્ટ સીટી, નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન, આવાસ યોજના(રૂરલ), સ્વચ્છ ભારત મિશન(રૂરલ), નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મીલ, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, ડિજિટલ ઈન્ડિયા, નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, ઈરીગેશન, સાંસદ ભંડોળ નીધિ જેવી વિવિધ યોજનાઓની બાબતમાં સકારાત્મક ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.