-
દાનહના ઔદ્યોગિકરણનો ફક્ત મુઠ્ઠીભર આદિવાસીઓને જ મળેલો ફાયદોઃ પ્રદેશના બહુમતિ આદિવાસીઓ હજુ પણ કાળી મજૂરી કરવા મજબૂર
-
દાદરા નગર હવેલીમાં મોટાભાગે હપ્તાખોરી, ખંડણી, ભંગારના ગોરખધંધા જેવી અસામાજિક પ્રવૃત્તિ કે લેબર કોન્ટ્રાક્ટ, કંપનીઓમાં બસના કોન્ટ્રાક્ટ, રૂમચાલનું બાંધકામ જેવા ધંધા ઉપર પણ મોટાભાગે સેલવાસ, સાયલી,મસાટ, રખોલી, દપાડા સુધી જ વિસ્તરેલી હાક અને ધાક
1991-’92ના વર્ષમાં દાદરા નગર હવેલી ખાતે ઉદ્યોગોનો રાફડો ફાટયો હતો. પરંતુ ઔદ્યોગિકરણનો ફાયદો દાદરા નગર હવેલીના મુઠ્ઠીભર આદિવાસીઓને જ મળ્યો હોય એવું આજે 30 વર્ષ પછી પણ સ્પષ્ટ દેખાય છે. મોટાભાગના આદિવાસીઓની સ્થિતિ ઠેરની ઠેર જ રહેવા પામી છે.
મૂળભૂત રીતે સદીઓથી ઉપેક્ષિત રહેલા આદિવાસીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા સૌથી પહેલાં કરવી જરૂરી હતી. પરંતુ દાદરા નગર હવેલીના જે તે સમયના આદિવાસી નેતાઓને ભય હતો કે જો ભોળી અને અભણ પ્રજા શિક્ષિત બની તો તેમના હાથમાં નહીં રહેશે.
2011 સુધી દાદરા નગર હવેલીમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનીકોલેજ જ નહીં હતી. 2011 પહેલાં દાદરા નગર હવેલીના આદિવાસીઓએ અભ્યાસ કરવા માટે ક્યાં તો દમણ આવવા પડતું હતું અથવા વાપી, પારડી કે વલસાડ સુધી લાંબા થવું પડતું હતું. દાદરા નગર હવેલીમાં આદિવાસી વિકાસ સંગઠનની રચનામાં જેમની સૌથી મહત્ત્વની ભૂમિકા રહી છે એવા સ્વ. જુગલભાઈ પટેલ, હાલમાં ઓ.એન.જી.સી. મુંબઈ ખાતે વરિષ્ઠ અધિકારી તરીકે કાર્યરત શ્રી ઠાકોરભાઈ પટેલ તથા શ્રી કેશુભાઈ પટેલ દમણની સરકારી કોલેજમાં ભણ્યા હતા. સંઘપ્રદેશ પ્રશાસનના પૂર્વ લાયઝન ઓફિસર શ્રી હિરાભાઈ પટેલ પણ દમણ કોલેજના વિદ્યાર્થી હતા. આ ઈતિહાસ એટલા માટે યાદ કરાવ્યો છે કે, 2011-’12માં સેલવાસ ખાતે સરકારી કોલેજ શરૂ થવી જોઈએ એવું તત્કાલિન પ્રશાસકશ્રી નરેન્દ્ર કુમારને સમજાવવા તત્કાલિન સાંસદ શ્રી નટુભાઈ પટેલ સફળ રહ્યા હતા અને તત્કાલિન પ્રશાસકશ્રીએ પ્રદેશના આદિવાસીઓના વિશાળ હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકારી કોલેજનો પ્રારંભ કરાવ્યો હતો, અને તેનું ઉદ્ઘાટન તત્કાલિન કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી શ્રી મુલ્લાપલ્લી રામચંદ્રનના હસ્તે કરાવવાનું ઠરાવવામાં આવ્યું હતું. તે સમયે પણ કોલેજ નહીં આવવા માટે કાળા વાવટા બતાવી મંત્રીશ્રીનો અને પ્રશાસકશ્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ કરનારાઓ કોણ હતા..?
તત્કાલિન સાંસદ શ્રીનટુભાઈ પટેલે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દરમિયાનગીરીથી સેલવાસની કોલેજને ગુજરાત યુનિવર્સિટી સાથે એફીલીએશન અપાવ્યું હતું.
દાદરા નગર હવેલીના કેટલાક નેતાઓ બહુમતિ આદિવાસીઓ અભણ રહે એવું કેમ ઈચ્છતા હતા તે સંશોધનનો વિષય છે. પરંતુ સેલવાસમાં સરકારી કોલેજ આવવાથી આજે ઘણાં યુવાનો સ્નાતક બન્યા બાદ ઉચ્ચ અભ્યાસ કરી સરકારી નોકરી પણ કરી રહ્યા છે. કેટલાક વકિલાતની પ્રેક્ટ્સિમાં પણ જોડાયા છે. આ ત્યારે જ સંભવ બન્યું કે જ્યારે દાદરા નગર હવેલી ખાતે ડીગ્રી કોલેજનું આગમન થયું.
દાદરા નગર હવેલીમાં ફક્ત છેલ્લા 7 વર્ષમાં શૈક્ષણિક ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ થઈ છે. છેવાડેના આદિવાસીઓને પણ ડોક્ટર, એન્જિનિયર, નર્સ કે પેરામેડિકલ અભ્યાસક્રમમાં જવાની તક મળે એવી વ્યવસ્થાનું સર્જન થયું છે. દાદરા નગર હવેલીમાં મોટાભાગે હપ્તાખોરી, ખંડણી, ભંગારના ગોરખધંધા જેવી અસામાજિક પ્રવૃત્તિ કે લેબર કોન્ટ્રાક્ટ, કંપનીઓમાં બસના કોન્ટ્રાક્ટ, રૂમચાલનું બાંધકામ જેવા ધંધા ઉપર પણ મોટાભાગે સેલવાસ, સાયલી, મસાટ, રખોલી, દપાડા સુધી જ હાક અને ધાક વિસ્તરેલી છે. સામાન્ય આદિવાસી પ્રજા માટે પરસેવો પાડી મજૂરી કરવાનું જ નશીબમાં લખાયેલું રહ્યું છે. આ ભેદભાવદૂર કરવા હજુ સુધી દાદરા નગર હવેલીના કોઈપણ રાજકીય નેતાએ રસ લીધો નથી. જે પણ ઘણું સૂચક છે.
– (ક્રમશઃ)