-
સંઘપ્રદેશ પ્રશાસને સમાજના હાંસિયામાં રહેલા વર્ગને બેઠો કરવા માટે શિક્ષણને એક અમોઘ શષા તરીકેના ઉપયોગનો કરેલો પ્રારંભ
-
પ્રદેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદૃઢ અને પ્રજાભિમુખ બનાવવા પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા તેજ પ્રયાસો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસન દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને વિકાસ કામોમાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયની અંત્યોદયની નીતિનું પ્રતિબિંબ પડે છે. જેના પરિણામ સ્વરૂપ જ દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે બિન અનામત બેઠકમાં એક અનુ.જાતિની મહિલાની પસંદગી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ મોદી સરકારના આગમન બાદ થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ પહેલી વખત ભાજપે બિન અનામત બેઠકો માટે પણ અનુ.જાતિ અને જનજાતિનાપ્રતિનિધિને ફક્ત ટિકિટ જ નથી આપી પરંતુ તેમના વિજયને પણ પાકો કરાયો છે. જેના કારણે જ આજે ઘણાં કાઉન્સિલરો અને સરપંચો પણ અનુ.જાતિના બની શક્યા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સમાજના હાંસિયામાં રહેલા વર્ગને બેઠો કરવા માટે શિક્ષણને એક અમોઘ શષા તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પ્રદેશના આંગણે મેડિકલ, એન્જિનિયરીંગ સહિતની વિવિધ વ્યવસાયલક્ષી કોલેજ શરૂ કરી શિક્ષણની ભૂખ ઉઘાડવાનું શ્રેષ્ઠ અને ઉમદા કાર્યો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે શરૂ કરેલા શુદ્ધિકરણ યજ્ઞ અને મારધાડ સામે અપનાવેલી કડક ‘નો ટોલરન્સ’ નીતિના કારણે ધંધા-રોજગારમાં પણ સમાંતર તકો મળતી થઈ છે.
પ્રદેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદૃઢ અને પ્રજાભિમુખ બનાવવા પણ પ્રશાસન દ્વારા પ્રયાસો તેજ કરાયા છે. જેના ફળસ્વરૂપ ગ્રામ પંચાયતોના સરપંચો માટે ક્ષમતા નિર્માણ વર્કશોપના આયોજન થઈ રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાર્થક કરવા અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયની અંત્યોદય નીતિનો કારગર અમલ ગ્રામ્ય સ્તરેથી જ સંભવ હોવાથી પ્રશાસને પણ પોતાની યોજનામાં ગામડાંના છેવાડેના માણસને બેઠો કરવાની નીતિનો પ્રારંભ કર્યો છે. જેનાઅંતર્ગત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પાપડ, અચાર, મશરૂમ જેવી ઘરવપરાશની ચીજોના ઉત્પાદન, વિતરણ અને વેચાણની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. દાદરા નગર હવેલીની મહત્વાકાંક્ષી ગીર ગાય યોજનાથી આદિવાસી મહિલાઓની સાચા અર્થમાં કાયાપલટ પણ થઈ રહી છે.
પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખત્યાર સંભાળ્યા બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે બનતી યોજનાઓમાં હવે માનવીય અને સંવેદનશીલતાનો સ્પર્શ જોવા મળે છે. ગ્રામ સ્વરાજ અને ગ્રામીણ વિકાસને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. સંઘપ્રદેશની પંચાયતોને પણ ગુજરાત રાજ્યની તર્જ ઉપર વહીવટી સત્તાઓ આપવામાં આવે તો આવતા દિવસોમાં ગ્રામ સ્વરાજ અને લોકતંત્રનો અવાજ વધુ મજબુત બની શકશે.