(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15
દાદરા નગર હવેલીના અથાલ ગામે મેઈન રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતા એને બચાવવાના ચકકરમા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા એની પાછળ ચાલતુ કન્ટેનર નંબર ડીએન-09-ડી-9140અને જાન લઈને જતી લકઝરી બસ નંબર જીજે-19-યુ-9140 જે દાદરાથી પરત બોરીગામ તરફ જઈ રહી હતી તેના વચ્ચે અકસ્માત થયો હતો જેમા 14લોકો ઘાયલ થયા હતા જેઓને 108દ્વારા સારવાર અર્થે સિવિલમા લઇ જવામા આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ નરોલી રોડ પર અથાલ હવેલી ફાર્મ નજીક રોડ પર ગાય આવી જતા માટી ભરેલ ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા પાછળ ચાલતુ કન્ટેનર ટકરાયુ હતુ એની પાછળ જાન ભરેલી લકઝરી બસને પણ જોરદાર ટક્કર લાગી હતી જેના કારણે અંદર બેઠેલ જાનૈયાઓને ઈજાઓ પોહચી હતી જેમા વધુ પડતી મહિલાઓ જ હતી આ અકસ્માતની જાણ થતા પીએસઆઇ જીજ્ઞેશ પટેલ એએસઆઇ આર.ડી.રોહિત અને એમની ટીમ પોહચી ગયી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કરી 108એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલોને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા.કેટલાકને પ્રાઇવેટવાહનમા તો કેટલાકને 108 એમ્બ્યુલન્સમા મોકલવામા આવ્યા હતા.14જેટલા ઘાયલોમા કોઈને વધુ ઇજા ના હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરો અંગે પ્રદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રશાસનને વારંવર રજૂઆતો કરવામા આવી છે પરંતુ તેના તરફ યોગ્ય ધ્યાન આપવામા આવી નથી રહ્યુ જેના કારણે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે અને કેટલાક લોકોના જીવો પણ ગયા છે આજના અકસ્માતમા સામાન્ય ઇજાઓને કારણે લોકો બચી ગયા છે પરંતુ કેટલાક અકસ્માતોમા ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલ હોવાની ઘટનાઓ પણ બની છે.