સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘ દૃષ્ટિ અને પ્રવાસનલક્ષી નીતિના કારણે રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગની મોટી સમસ્યાનો આવેલો અંત : મુખ્ય રસ્તા ઉપર આડેધડ પાર્ક થતા વાહનોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ હવે મળશે છુટકારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
સંઘપ્રદેશ પ્રશાસને દમણગંગા રિવરફ્રન્ટ અને દમણગંગા સર્કિટ હાઉસની સામે વાહન પાર્કિંગની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરી પ્રવાસીઓ અને સ્થાનિકોની મોટી સમસ્યા હલ કરી છે. કારણ કે રિવરફ્રન્ટ ઉપરસહેલગાહે આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તેમનું વાહન ક્યાં પાર્ક કરવું? તે બાબતે ખાસ ચિંતા રહેતી હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્ટિ અને પ્રવાસનલક્ષી નીતિના કારણે દમણગંગા રિવરફ્રન્ટ ઉપર દમણગંગા સર્કિટ હાઉસ સામે નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા આમ જનતા માટે ઉપલબ્ધ કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના યોજના અને વિકાસ પ્રાધિકરણ વિભાગ(પીડીએ) દ્વારા દાનહના દમણગંગા રિવરફ્રન્ટ પર દમણગંગા સર્કિટ હાઉસ સામે ઉભી કરેલી પાર્કિંગની નિઃશુલ્ક વ્યવસ્થામાં 64 ફોર વ્હીલર ગાડી અને 96 ટુ વહીલર વાહન પાર્ક કરી શકવાની ક્ષમતા છે અને વાહનોની સલામતી માટે સિકયુરિટી ગાર્ડ પણ રાખવામા આવ્યો છે. જેના કારણે પર્યટક પોતાના વાહનોની ચિંતા કર્યા વિના રિવરફ્રન્ટ પર જઈ ચિંતા વગર સહેલગાહનો આનંદ માણી શકશે.આ સુવિધા સવારે 5.30 વાગ્યાથી રાત્રે 10.30 વાગ્યા સુધી જનતા માટે ચાલુ રહેશે.
આ સંદર્ભે જનતાને અનુરોધ છે કે આ સુવિધાનો લાભ લે અને એમના વાહનો દમણગંગા રિવરફ્રન્ટને લાગેલ સાર્વજનિક સડક પર પાર્ક નહી કરે.