2005ની દમણ-દીવ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રદેશના રાજકારણે પણ બદલેલી કરવટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : 3જી ઓગસ્ટ, 2004ના રોજ દમણમાં ભયાનક પૂર આવતાં નાની દમણ માર્કેટથી ખારાવાડ, ખારીવાડ, વરકુંડ, મીટનાવાડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તે સમયે વરકુંડ ખાતે આવેલા ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
પૂર પ્રકોપના કારણે અસરગ્રસ્ત બનેલા લોકોએ તત્કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ સામે મદદની નજર નાંખી હતી અને તે સમયની કોંગ્રેસ સરકાર અસરગ્રસ્તોને કોઈ રાહત પેકેજ જાહેર કરશે એવી માંગણી પણ લોકોમાં પ્રગટ થઈ હતી. પરંતુ સરકારના બહેરા કાને માંગણીઓ અથડાઈ હતી અને લોકોએ પોતાની જાતમહેનતે બેઠા થવાનો પુરૂષાર્થ શરૂ કર્યો હતો.
દમણ અને દીવમાં યુવા નેતા શ્રી કેતનભાઈ પટેલ અને શ્રી વિશાલભાઈ ટંડેલની સાથે નવા નેતા તરીકે દલવાડાના શ્રી નવિનભાઈ પટેલનો પણ જન્મ થયો હતો. 2005માં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શ્રી નવિનભાઈ પટેલનો પણ નેત્રદિપક વિજયથયો હતો. તેમને જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ પદની ઈચ્છા હતી. પરંતુ જિલ્લા પંચાયતના નવા સુકાની બનેલા શ્રી કેતનભાઈ પટેલે તેનાથી વિપરીત જઈ શ્રી નવિનભાઈ પટેલની અવગણના કરવાનું શરૂ કર્યું અને પાછળથી આ અવગણનાએ ખુબ મોટું વિકરાળ સ્વરૂપ પકડયું હતું. (ક્રમશઃ)