ભંગારના વેપારીને નિયમ વિરુદ્ધ કચરો સળગાવતો હોવાનુંજણાવી પેપરના પાને ચડાવી દેવાની ધમકી આપ્યા બાદ પોલીસના નામે ડરાવી 51 હજાર રૂપિયા પડાવી લેનાર કથિત પત્રકારો તેજસ કુંડલીયા અને મનીષ નામના ઈસમો સામે નોંધવા પામેલી ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ભીલાડમા ભંગારના વેપારી મોહમ્મદ રફીક શમશાદ ખાનને નિયમ વિરુદ્ધ કચરો સળગાવવાની કામગીરી કરતો હોવાનું જણાવી ડરાવી ધમકાવી રૂ.51,500 પડાવી લેનાર કહેવાતા બે પત્રકાર તેજસ કુંડલીયા અને મનીષ નામના ઇસમ સામે ભીલાડ પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધવા પામી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભંગારના વેપારી કચરો સળગાવી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલથી શૂટિંગ કરી ભંગારના વેપારીને ધમકાવ્યો હતો. અને જણાવ્યું હતું કે તમે ગેરકાયદેસર રીતે કંપનીમાંથી કચરો લાવી સળગાવો છો. જેના સંદર્ભમાં ભીલાડ ગ્રામ પંચાયતમાં તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થયેલી છે. આ ઘટનામાં કથીત પત્રકારે તારીખ 2/10/2024 ના રોજ વેપારીને નરોલી ઓવરબ્રિજ રાધે હોટલના પાર્કિંગમાં મળવા બોલાવ્યા હતા. અને આ મેટરની જાણકારી વધુ બે પત્રકારો પાસે તેમજ ગ્રામ પંચાયત અને ભીલડ પોલીસી મથકે અરજી કરવામાં આવી હોવાનું જણાવી તમે પેપરના પાને નહિ ચઢવા માંગતા હોય તો રૂ.11000 માંગણીકરી હતી. જે રકમ ફરિયાદીએ ચૂકવી હતી. તે બાદ બીજા દિવસે આ પત્રકારે ફરી ફોન કરી એ જ હોટેલ પર બોલાવી મનિષભાઈ નામના વ્યક્તિની ઓળખ કરાવી રૂ.12500 ધમકાવીને ઉઘરાવ્યા હતા. જે બાદ ફરી તેને જણાવેલ કે, અરજી પોલીસમાં પહોંચી ગયેલી છે. જેથી પોલીસવાળા સાહેબને રૂ.25000 આપવા પડશે તેમ કહી પોલીસના નામે બીજા રૂ.25000 ની ઉઘરાણી કરી હતી.
આ તમામ રૂપિયાની ચુકવણી કર્યા બાદ વેપારીએ અરજીની કોપી માંગી હતી. જેના માટે વધુ રૂપિયા 3000 માંગણી કરી હતી. આમ કુલ રૂ.51500 આ કથિત પત્રકારોએ કઢાવી લીધા બાદ પણ માહિતી આપી નહોતી અને તેના મળતીયા મનીષ નામના અન્ય કથિત પત્રકાર સાથે મળી માહિતી ન્યુઝમાં આપવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા ભંગારના વેપારીએ આખરે પોલીસ મથકમાં ફરિયાદ આપવાની ફરજ પડી હતી. જે ફરિયાદના આધારે આરોપી બંને કથિત પત્રકાર સામે બીએનએસ 308(2), 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

