(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
સરીગામ જીઆઈડીસી નજીકના માંડા પ્લોટપાડા વિસ્તારમાં કાર્યરત એબી રોલિંગ મિલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ વારંવાર રજૂઆત છતાં પગલાં ન ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. માંડા પંચાયતના માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા અને એમની ટીમે જવાબદાર વિભાગનું ધ્યાન દોરવા છતાં પરિસ્થિતિ કાબુમાં ન આવતા હવે ઉચ્ચસ્તરીય રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.
માંડા પ્લોટ પાડા વિસ્તારમાં આંગણવાડી નજીક, આશાબેનના ઘર નજીક અને મિનેષભાઈ છગનભાઈના ઘરના નજીક આવેલ ત્રણ હેન્ડ પંપના પાણી પીવા લાયક ન રહેતા નાયબ કાર્યપાલક એન્જિનિયર જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. અને સ્પષ્ટતા કરી છે કે માનવીના આરોગ્ય માટે આ પાણી નુકસાનકારક હોવાથી સીલ કરવામાં આવે છે. આ ત્રણ હેન્ડ પંપ એબી રોલિંગ મિલની નજીક આવેલા છે જેના કારણે માંડા ગામના માજી સરપંચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક સરીગામ કચેરીના રિજનલ અધિકારીને ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ સેમ્પલો એકત્રિત કરી તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યોનથી.
આ ઉપરાંત આ કંપનીમાંથી સતત ઘોંઘાટ અર્થાત ધ્વનિ પ્રદૂષણ આવતું હોય છે જેના કારણે નજીકમાં વસવાટ કરતા પરિવારોનું જીવન નર્કાગાર બની જવા પામ્યું છે. તેમજ રાત્રિના સમયે આ કંપનીમાંથી સહન ન કરી શકાય એવી એસિડિક દુર્ગંધ પણ આવતી હોવાની રાવ પણ કરવામાં આવી છે. વારંવાર રજૂઆત છતાં આ સર્જાયેલી સમસ્યા પર જવાબદાર વિભાગ અંકુશ મુકવામાં સદંતર નિષ્ફળ જતા સ્થાનિકોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. જેની ફરિયાદ નજીકના ભવિષ્યમાં ઉચ્ચ સ્તરે કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.
Previous post