(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ (મહેન્દ્ર યાદવ)
ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે. બોગસ ડોકટરો આદિવાસી દરદીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યાનું જાણતા હોવા છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાંથી જાગતું નથી. અખબારી અહેવાલોમાં પ્રકાસીત થાય ત્યારે દેખાવટી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ તંત્ર આંખ આડે કાન કરી સબ સલામત હોવાનું બણગાં ફૂંકે છે. બોગસ ડોકટરોનું દવાખાનુંબંધ કરાવવામાં તંત્રને રસ ન હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે !
અગાઉ બોગસ ડોકટરોનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયું હતું ત્યારે વલસાડ ડીડીઓ મનીષ ગુરુવાણીએ સત્યતા જાણવા આરોગ્ય તંત્રને આદેશ આપ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગે ધરમપુર પોલીસની મદદ લઈ તપાસ કરી હતી. જેમાં કેટલાક બોગસ ડોકટરો ઝડપાઈ આવ્યા હતા તે સમયે તંત્રનો સપાટો પડતા વિસ્તારમાં કાર્યરત અનેકો બંગાળી બોગસ ડોકટરો પલાયન થઈ ગયા હતા. જ્યારે અંતરિયાળ વિસ્તરોમાં કેટલાક બોગસ ડોકટરો લોકલ હોવાને કારણે પોતાની ઘરે ચોરી-છુપે દવાખાનું ચલાવતા હતા. તંત્રના સપાટાને ઘણા દિવસો થઈ ગયા બાદ મામલો ઠંડો પડતા ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની ફરીથી હાટડી જામી છે. ધરમપુરના હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નજીકમાં જ ધરમપ ર વિસ્તાર તરફ મિથુન શ્રીવાસ્તવ નામક એક બોગસ ડોકટર બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો છે. દવાખાનામાં આદિવાસી દરદીઓને દાખલ કરી બોટલો પણ ચઢાવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નજીકમાં જ આ દવાખાનું ધમધમતું હોવાને કારણે અહીં બોગસ ડોકટરો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ શિક્ષિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.