-
નાના ભાઈને બ્રેઈન ટયુમર થતા આયુષ્યમાન કાર્ડ થકી રૂા. 3 લાખના ખર્ચની નિઃશુલ્ક સારવારથી નવું જીવન મળ્યું
-
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી વર્ષે 6 હજાર પણ મળી રહ્યા છે
સાફલ્ય ગાથા – જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:
વૈશ્વિક મહામારીમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું હતું ત્યારે સરકારની અનેક કલ્યાણકારી યોજનાએ લોકોને અનાજની સાથે રોજગારી પણ આપી નવુ જીવન બક્ષ્યુ છે. આ સમયે વલસાડના હનુમાનભાગડા ગામના ટંડેલ પરિવાર માટે સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કળિયુગમાં વરદાન સમાન સાબિત થઈ છે.
વલસાડના હનુમાન ભાગડા ગામમાં માછીવાડમાં રહેતા નરેશ કાલિદાસ ટંડેલની કોરોના કાળમાં નોકરી છુટી જતા ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આ સમયે ઘરમાં રહેતા 8 સભ્યોની આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેમની પત્ની અને ભાભી માછલી વેચી તેમને મદદરૂપ થતા હતા પરંતુ કોરોના કાળમાં તે પણ બંધ થઈ ગયું હતું. જેથી ગુજરાન ચલાવવું કઠિન બન્યું હતુંપરંતુ આ સમયે ગ્રામ પંચાયતના સભ્ય તરફથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાણ થઈ અને રેશન કાર્ડ પર ઘઉં, ચોખા, દાળ અને તેલ સહિતનું અનાજ મળતું થયું હતું.
કોરોનામાં બિમાર પડ્યા બાદ તબિયત સારી ન રહેતા હાલમાં પણ સરકારની યોજનાનો લાભ મેળનાર નરેશભાઈએ કહ્યું કે, પહેલા અમે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા ન હતા, બજારમાંથી ખરીદી લેતા હતા પરંતુ કોરોનાકાળમાં નોકરી છુટતા રેશન કાર્ડ કઢાવ્યો હતો અને હાલમાં પણ અનાજ મેળવી રહ્યા છે. જેથી અમારા ઘરમાં અમે પતિ-પત્ની અને બે ભાઈના સંતાનો મળી કુલ 8 સભ્યોના દર મહિનાના અનાજના રૂ. 5 હજારના ખર્ચની બચત થઈ રહી છે. હાલમાં ડાયાબિટીસ, સુગર અને પ્રેશરની બિમારીના કારણે નોકરી ન કરાતા સરકારી અનાજનો આધાર જ જીવન જીવવાનો આધાર બન્યો છે. આ ઉપરાંત ?ધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ મળતા વર્ષે રૂ. 6000 મળી રહે છે.
આ જ પરિવારમાં રહેતા નરેશભાઈના નાના ભાઈ નીતિન કાલીદાસ ટંડેલને નવેમ્બર 2021માં ચહેરાનો એક સાઈડનો ભાગ જુઠો થઈ જતા તેમણે નજીકમાં એક તબીબ પાસે ચેક કરાવ્યું હતું. બાદમાં ત્યાંથી ડુંગરીની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા બ્રેઈન ટયુમર હોવાનું જણાતા પરિવારના હોશ ઉડીગયા હતા કારણ કે સારવાર માટે અંદાજે રૂા. 3 લાખનો ખર્ચ થાય તેમ હતો. પરંતુ તેમની પાસે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો કાર્ડ હોવાથી સુરતની કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. જે ઓપરેશન અંદાજે 5 કલાક સુધી ચાલ્યું હતું. બાદમાં સ્વસ્થ થતા નવુ જીવન મળ્યું છે.
નીતિનભાઈએ કહ્યું કે, આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારો પરિવાર ઓપરેશન અને દવાનો માતબર રકમનો ખર્ચ પહોંચી વળે તેમ ન હતો. સરકારની આ યોજના થકી જ મને નવુ જીવન મળ્યું છે. આ યોજનામાં હોસ્પિટલમાં જવા આવવા માટેના રૂા. 2400નો ખર્ચ પણ અમને સરકાર દ્વારા મળ્યો હતો. સરકારની અનેક ફળદાયી યોજનાનો લાભ લઈ રહેલા ટંડેલ પરિવારના સભ્યો કહે છે કે, પ્રજાના દુઃખને પોતાનું દુઃખ સમજનારી આ સંવેદનશીલ સરકાર ન હોત તો અમારુ શું થાત? પ્રધાનમંત્રીશ્રીની આ ત્રણેય યોજનાથી અમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યુ છે સાથે સાથે જીવન જરૂરી તમામ સુવિધાઓ પણ મળી રહી છે.