મે માસમાં 39 નમુનાઓની તપાસ કરવામાં આવી હતી _ ખાદ્ય નમુના નાપાસ થતા 5 વેપારીઓને નોટિસ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડજિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મે માસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે 39 જેટલા નમુનાઓ લેવામા આવ્યા હતાં. આ નમુનાઓની ચકાસણી કરતા ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન -2011 અનુસાર કુલ 34 નમૂનાઓ સામાન્ય જણાઈ આવ્યા હતાં. તેમજ આ નમુનાઓ અને ગત માસના બાકી રહેલા 63 નમુનાઓ પૈકી 5 નમુનાઓ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન – 2011 અનુસાર ગુણવતા ધરાવતા નહોવાથી નાપાસ થયા હતા. જેથી 5 વેપારીઓને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ સેફટી ઓફિસર જે. કે. ભડારકા, સી. એન. પરમાર અને આર. એમ. પટેલે તપાસ કરીને ગાય અને ભેંસના છૂટક દૂધનું તથા માવા મલાઈ કુલ્ફીનું વેચાણ કરતા ચાર(4) વેપારીઓને સબ સ્ટાન્ડર્ડ અને મીઠાના પેકેટનું ખોટી બ્રાંડ આનુસાર વેચાણ કરતા એક (1) વેપારીને નોટિસ આપી હતી. વલસાડ તલુકાના મંગલમ એપાર્ટમેન્ટ હાલર રોડ તળાવ નજીકની આવેલી ગોપાલ ડેરીના પ્રમોદકુમાર જશવંતીલાલ રાજપુતને ખરાબ ગુણવત્તાના ગાય અને ભેંસના છૂટક દૂધ, ઉમરગામ તાલુકાના નારગોલના સાંઇ નગર એપાર્ટમેન્ટ, ગાંધી રોડ ખાતે આવેલી શ્રી વિનાયક ડેરીનાપુશ્કર શંકરલાલ ડાંગેને ખરાબ ગુણવત્તાના ગાયના છૂટક દૂધ, ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા ખાતે આવેલ બોમ્બે ચોપાટી આઈસક્રીમના શાંતિલાલ દેવીલાલ જાટને ખરાબ ગુણવત્તાની નોર્વે માવા કુલ્ફીનું વેચાણ તથા વલસાડના હાલર વશી ફળિયાના આશિવશ્રમ એપાર્ટમેન્ટ ખાતે આવેલા શોપ ફ સેવ મીની માર્ટના નીત નલીનભાઈ પટેલને ખોટી બ્રાન્ડના મીઠાના પેકેટનું વેચાણ કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી.